ગુજરાતમાં સતત જીત માટે આદિ એવા ભાજપને પેટાચૂંટણીમાં મોટો ફટકો પડ્યો છે. જે પરિણામો આવી રહ્યા છે તે પ્રમાણે બાયડ વિધાનસભા બેઠક ફરી એકવાર ભાજપે ગુમાવી છે. વિધાનસભાની ચૂંટણીઓની જાહેરાત થઇ ત્યાં ત્યારથી અત્યાર સુધી ભાજપના નેતૃત્વ છ-છ બેઠક પર ભાજપનો જ વિજય થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ નિવેદન આપવામાં મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીથી માંડી ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી તથા નાયાબ મુખ્યપ્રધાન નીતિન પટેલનો પણ સમાવેશ થાય છે. ભાજપને વિશ્વાસ હતો કે, જનમત હંમેશાની જેમ આ વખતે પણ ભાજપ સાથે જ રહેશે. પરંતુ જેમ-જેમ પરિણામોની જાહેરાત થઈ રહી છે. તેમ-તેમ જનમત ભાજપથી દૂર જતો જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચોઃ સોનિયા ગાંધીનો નિર્ણય, ગુજરાત કોંગ્રેસના 300થી વધુ સભ્યોનું માળખું વિખેરાયું
બાયડ અને થરાદની બેઠક તો ભાજપે ગુમાવી જ દીધી છે. તો રાધનપુરમાં પણ રસાકસી ચાલી રહી છે. તો બીજી તરફ શહેરી વિસ્તાર ગણાતી અને ભાજપની ખૂબ મોટી વોટબેંક ગણાતી અમરાઈવાડી બેઠક પર પણ હાલમાં કોંગ્રેસ આગળ ચાલી રહી છે. જેના કારણે ભાજપના વિજય ઉત્સવ પર હાલમાં તો ઠંડુ પાણી રેડાઈ ગયું છે. છેલ્લા બે દિવસથી ભાજપના પ્રદેશ હોદ્દેદારો દ્વારા કમલમ્ ખાતે બાર વાગ્યાથી ભવ્ય ઉજવણી કરવા અંગે જાહેરાત કરવામાં આવી હતી.
આજે વહેલી સવારથી કમલમ ખાતે તૈયારીઓનો ધમધમાટ પણ જોવા મળ્યો. મ્યુઝિક સિસ્ટમ મુખ્ય પ્રાંગણમાં વહેલી સવારથી લગાવી દેવામાં આવી હતી તો કલાકારો પણ નવ વાગ્યાથી જીતના જશ્નમાં ભાગ લેવા માટે તૈયાર હતા. જોકે કે, બપોર સુધી પ્રદેશ કાર્યાલય ખાતેના ઢોલ નગારાની ગુંજ સંભળાઈ ન અને ન તો કલાકારોનો રણકાર જોવા મળ્યો. જો કે આજે કાર્યકર્તાઓએ પણ કમલમ આવવાનું ટાળ્યું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે.
બાયડ અને થરાદ બેઠક પર પરિણામો જાહેર થયા છે. જેને લઈને ભાજપ કાર્યાલય પર એક પ્રકારની નિરસતા જોવા મળે છે. જે સામાન્ય રીતે કોંગ્રેસના કાર્યાલય પર જોવા મળતી હોય છે. ત્યારે સરકારના મંત્રીઓએ પણ આજે કમલમ્ આવવાનું ટાળ્યું છે. અહીં એ વાત પણ મહત્વની છે કે, ભાજપ બદલાઈ રહેલા લોકમત પર મંથન કરવાનું શરૂ કરી દીધું છે. બાયડ અને થરાદની હાર એ માત્ર એક ઉમેદવારની હાર નહીં પરંતુ ભાજપની હાર છે. સતત કોંગ્રેસમાંથી આવતા નેતાઓને ભાજપમાં મળી રહેલા પ્રાધાન્ય સામે કાર્યકર્તા અને સ્થાનિકોમાં કેટલો આક્રોશ છે. તેનો ફરી એકવાર પુનરાવર્તન જોવા મળ્યું છે.
વર્ષ 2017માં પણ ભાજપે આજ પ્રકારની ભૂલ વિધાનસભાની ચૂંટણી દરમિયાન કરી હતી. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓને ટિકિટ આપી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. જોકે મોટાભાગની બેઠકો ઉપર લોકોએ પેરાશુટ ઉમેદવારોને નકારી કાઢ્યા હતા. પરંતુ જસદણ અને માણાવદરમાં અનુક્રમે કુંવરજી બાવળિયા તથા જવાહર ચાવડા પેટાચૂંટણીમાં જીત થતા ભાજપે ફરી એકવાર રાધનપુર અને બાયડમાં પેરાશૂટ ઉમેદવારોને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. જેમાંથી બાયડે પક્ષપલટુ નેતાને નકારી કોંગ્રેસના હાથનો સાથ લીધો છે. જ્યારે બાકીની ત્રણ બેઠક પર ખરેખરી ફાઇટ ચાલી રહી છે.
Published On - 8:50 am, Thu, 24 October 19