
ભારે વરસાદ અને સંચાલન સંબંધિત મુશ્કેલીઓને પગલે પશ્ચિમ રેલવેએ 24 જુલાઈના રોજ 15 ટ્રેનો સંપૂર્ણપણે રદ કરી છે. વરસાદની અસર મુંબઈ, સુરત, વલસાડ, અમદાવાદ સહિતના અનેક મહત્વના રૂટ પર જોવા મળી રહી છે, જેના કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
પશ્ચિમ રેલવે દ્વારા સુરત-વિરાર, વલસાડ-દાહોદ, મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ, મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર રાજધાની સહિતની મહત્વપૂર્ણ ટ્રેનો રદ કરવામાં આવી છે. ભારે વરસાદને કારણે રેલવે ટ્રેક અને સંચાલન વ્યવસ્થાને અસર થતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ ઉપરાંત ટ્રેન નંબર 09093 ઉધના-અયોધ્યા કેન્ટ સ્પેશિયલ ટ્રેનના સમયપત્રકમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેન હવે ઉધનાથી સવારે 7:25 વાગ્યાના બદલે સવારે 10:25 વાગ્યે રવાના થશે.
પશ્ચિમ રેલવેએ બે અન્ય ટ્રેનોના રૂટમાં પણ ફેરફાર કર્યો છે. હિસાર-વલસાડ ટ્રેનને મરોલી ખાતે રોકવામાં આવી છે અને મરોલી-વલસાડ વચ્ચેની સેવા રદ રહેશે. જ્યારે બાંદ્રા ટર્મિનસ-ભુજ ટ્રેન હવે બાંદ્રા ટર્મિનસના બદલે સુરતથી શરૂ થશે, જેના કારણે બાંદ્રા ટર્મિનસ-સુરત વચ્ચેનો રૂટ આંશિક રીતે રદ રહેશે.
વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુસાફરોને મુસાફરી પહેલાં પોતાની ટ્રેનની સ્થિતિ તપાસી લેવા અને રેલવેના તાજા અપડેટ્સનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો- Breaking News : ગુજરાતમાં ભારે વરસાદને પગલે CM ની હાજરીમાં ઉચ્ચ સ્તરીય બેઠક, અમદાવાદમાં આર્મી તૈનાત