Gir Somnath: રાજ્યમાં વાતાવરણ પલટાની (Gujarat Unseasonal Rain) ભારે અસર વર્તાઈ છે. ઠેર ઠેર વરસાદ અને પવન ફૂંકાયાની માહિતી સામે આવી છે. તપ ગીર સોમનાથથી ચિંતાજનક સમાચાર આવ્યા છે. નવા બંદરની બોટ દરિયામાં ડૂબી હોવાની માહિતી સામે આવી છે. તો સાથે ઘણા માછીમાર (Fisherman) પણ લાપતા હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક જાણકારી મુજબ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નવાબંદરની આશરે 13 થી 15 બોટ ડૂબી ગઈ છે.
આશરે 10 થી 15 માછીમારો પણ લાપતા થયા હોવાની માહિતી સામે આવી છે. જણાવી દઈએ કે હવામાન વિભાગે અગાઉ દરિયો ન ખેડવાની સૂચના આપી હતી. તો ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરે ઘટનાની પુષ્ટી કરી છે. તેમજ હાલમાં 4 માછીમારોને બચાવી લેવાયાંની માહિતી કલેકટરે આપી છે.
મોડી રાત્રે ફૂંકાયેલા ભારે પવનના કારણે નવાબંદર દરિયા કિનારે ભારે નુકસાન થયું છે. ત્યારે તમામ બોટ કાંઠા પર લાગરેલી હતી. તંત્ર દ્વારા હાલ તમામ લોકોની શોધખોળ હાથ ધરાઈ છે. દરિયે લાગરેલી હોડીઓ આપસમાં ટકરાતા નુકસાન થયાનું કલેકટરે જણાવ્યું છે. ત્યારે 6 થી 8 જેટલા માછીમાર હજુ લાપતા હોવાનું ખુલાસો થયો છે.
જણાવી દઈએ કે હવામાન વિભાગે રાજ્યમાં ભારે પવન અને વરસાદની આગાહી કરી હતી. તો વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સની અસરને કારણે આ અસર થવાની આગાહી બાદ માછીમારોને દરિયો નહીં ખેડવા માટે સૂચનાઓ પણ આપી હતી. તો સૂચના હોવા છતાં માછીમારો દરિયામાં ગયા હોવાનું અહેવાલમાં જણાવાયું છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 129 તાલુકામાં છુટોછવાયો કમોસમી વરસાદ વરસ્યો છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા છેલ્લા 3 દિવસથી રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. સૌથી વધુ સુરતના ઉમેરપાડામાં 6 ઈંચ કમોસમી વરસાદ પડ્યો છે. તો છેલ્લા 24 કલાકમાં રાજ્યના 38 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.
વાતાવરણ પલટાતા અનેક સ્થળોએ હિલસ્ટેશન જેવું વાતાવરણ થયું છે અને ઠંડીમાં એકાએક વધારો જોવા મળ્યો છે. વલસાડ, નવસારી, પારડી, ખેરગામ, ઉમેરગામ, મહુવા અને પલસાણામાં 3 ઈંચથી વધુ વરસાદ વરસ્યો હોવાની માહિતી સામે આવી છે. તો ડાંગ, સુરત, તાપી, નર્મદા,ભરૂચ, છોટાઉદ્દેપુર, ઉના અને ખાંભામાં 1 ઈંચથી વધુ કમોસમી વરસાદ વરસ્યો છે.
આ પણ વાંચો: Amreli: માવઠા બાદ માછીમારો અને ખેડૂતોને સહાય કરવા માગ, ભાજપ-કોંગ્રેસના નેતાઓની સરકારને રજૂઆત
Published On - 8:21 am, Thu, 2 December 21