
ગુજરાતીમાં એક કહેવત છે કે, પાપ છાપરે ચડીને પોકારે છે. આ કહેવત વર્તમાન સમયમાં ભ્રષ્ટાચારને લાગુ પડે છે. ભ્રષ્ટાચાર પણ જગજાહેર થઈને રોડ પર પોકારે છે. અમદાવાદ, શહેરમાં ગત રાત્રે વરસેલા પ્રથમ વરસાદે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની કામગીરી સામે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલ રામોલ-હાથીજણ વોર્ડ વિસ્તારમાં આવેલા જાનીયાપીરના ટેકરા પર કરોડો રૂપિયાના ખર્ચે, તાજેતરમાં જ બનાવવામાં આવેલો રોડ પ્રથમ વરસાદ પણ સહન કરી શક્યો નથી અને રોડનો એક ભાગ બેસી જતાં સમગ્ર માર્ગ વાહનવ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, જાનીયાપીરના ટેકરા વિસ્તારમાં, તાજેતરમાં જ કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું હતું. પરંતુ ગઈકાલ સોમવારની રાત્રે વરસેલા પ્રથમ વરસાદ બાદ રોડના સ્ટ્રક્ચરમાં ખામી સર્જાતા માર્ગનો એક મોટો હિસ્સો બેસી ગયો હતો. ઘટનાની જાણ થતાં મનપાના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને સુરક્ષાના હેતુસર સમગ્ર રોડ પર અવરજવર બંધ કરી દેવામાં આવી હતી.
રામોલ-હાથીજણ વોર્ડ વિસ્તારમાં આવેલા જાનીયાપીરના સ્થાનિક રહિશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહિશોનું કહેવું છે કે કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા રોડની ગુણવત્તા અંગે હવે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. જો પ્રથમ વરસાદમાં જ રોડની આવી સ્થિતિ થઈ જાય છે તો હજુ તો ચોમાસા દરમિયાન અન્ય વિસ્તારોમાં બનેલા વિકાસકાર્યોની ગુણવત્તા અંગે પણ શંકા ઉભી થાય છે.
રોડ બેસી જતાં આસપાસના વિસ્તારોમાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવો પડતાં ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ છે. સ્થાનિકોએ સમગ્ર મામલે જવાબદાર કોન્ટ્રાક્ટર અને સંબંધિત અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં થતા વિકાસકાર્યોની ગુણવત્તા અને દેખરેખ અંગે સવાલો ઊભા કર્યા છે. હવે મનપા દ્વારા રોડ બેસી જવા પાછળના કારણોની તપાસ હાથ ધરવામાં આવે છે કે નહીં અને જવાબદારો સામે શું કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર છે.
અમદાવાદ શહેરમાં રોજબરોજની ઘટનાને લગતા, ક્રાઈમને લગતા, રાજકીય બનાવ કે ઘટનાને લગતા સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.