
અમદાવાદ શહેર લાંબા સમયથી ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાથી ઝઝૂમી રહ્યું છે. રસ્તાઓ પર આડેધડ વાહનો પાર્ક કરવા એ રોજિંદી સમસ્યા બની ગઈ છે, જેના કારણે ટ્રાફિક જામ અને નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડે છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા હવે ગેરકાયદેસર પાર્કિંગ સામે કડક કાર્યવાહી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિયમનો અમલ હવે ફક્ત કોમર્શિયલ વિસ્તારો પૂરતો સીમિત ન રહેતા રહેણાક વિસ્તારોમાં પણ વિસ્તૃત કરવામાં આવશે.
નવા નિયમો અનુસાર, જો કોઈ બિલ્ડીંગની બહાર મુખ્ય માર્ગ પર વાહનો પાર્ક કરવામાં આવશે, તો તે બિલ્ડીંગનું બીયુ (BU) પરવાનગી સસ્પેન્ડ કરી દેવામાં આવશે. આ ઉપરાંત, બિલ્ડીંગમાં આવતા મુલાકાતીઓના વાહનનું પાર્કિંગ પણ રોડ પર કરવા દેવામાં આવશે નહીં. પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની સંપૂર્ણ જવાબદારી જે તે બિલ્ડીંગના સભ્યો અને મેનેજમેન્ટની રહેશે. તેમને પાર્કિંગ માટે નિર્ધારિત જગ્યાએ પીળા પટ્ટા દોરાવવા અને સાઈન બોર્ડ લગાવવા પણ ફરજિયાત રહેશે.
અત્યાર સુધી અમદાવાદમાં પાર્કિંગ બાબતે રહીશો અને મનપા બંને તરફથી બેદરકારી જોવા મળતી હતી. વાહનોનું પાર્કિંગ મુખ્ય માર્ગો પર આડેધડ રીતે કરવામાં આવતું હતું. આ સમસ્યા માત્ર રહેણાક વિસ્તારો પૂરતી સીમિત નહોતી, પરંતુ કોમર્શિયલ વિસ્તારોમાં પણ રસ્તા પર પુષ્કળ પાર્કિંગ જોવા મળતું હતું. વાહનોના પાર્કિંગ ઉપરાંત, રસ્તાઓ પર લારીઓ પણ ઊભી કરી દેવામાં આવતી હતી, જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.
જોધપુર વોર્ડ જેવા શહેરના પોશ ગણાતા વિસ્તારોમાં પણ “પાર્કિંગ સેન્સ” નો અભાવ સ્પષ્ટપણે દેખાય છે. આજુબાજુના કોમર્શિયલ એકમો પણ પાર્કિંગની વ્યવસ્થા પ્રત્યે ધ્યાન આપતા નથી, અને તેમના ગ્રાહકો કે રહીશો રસ્તાઓ પર જ વાહનો પાર્ક કરી દે છે. રસ્તાઓની સેન્ટર લાઇન સુધી વાહનો પાર્ક થયેલા જોવા મળે છે, જે દબાણ અને ટ્રાફિક જામનું કારણ બને છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા પણ અત્યાર સુધી યોગ્ય કામગીરી ન થતી હોવાના આક્ષેપો હતા, જેના કારણે આ બેદરકારી લાંબા સમયથી ચાલી રહી હતી.
ગેરેજોના વાહનો પણ ઘણીવાર આડેધડ રીતે ટર્નિંગ પર પાર્ક કરાતા હોય છે, જે અકસ્માતનું જોખમ પણ વધારે છે. શહેરના અનેક શોપિંગ સેન્ટરો અને કોમર્શિયલ એકમો પાસે પાર્કિંગની સુવિધા હોવા છતાં તેનો યોગ્ય ઉપયોગ થતો નથી, અથવા તો સુવિધાનો અભાવ હોય છે, જેના કારણે લોકોને મજબૂરીવશ રસ્તા પર વાહન પાર્ક કરવા પડે છે. આ એક કૃત્રિમ રીતે ઊભી કરાયેલી મુશ્કેલી છે જેમાં વાહનચાલકો અને એકમો બંને જવાબદાર છે.
આ તમામ પરિબળોને ધ્યાનમાં લઈને, AMC એ હવે કડક વલણ અપનાવ્યું છે. જો રસ્તાઓ પર ગેરકાયદેસર પાર્કિંગ જોવા મળશે અને બિલ્ડીંગો દ્વારા મુલાકાતી પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા કરવામાં નહીં આવે, તો આવા બિલ્ડીંગોના બીયુ રદ કરવા સુધીના કડક પગલાં લેવામાં આવશે. આશા છે કે આ નવા નિયમ અને તેના સખ્ત અમલીકરણથી અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે અને શહેરીજનોને સુચારુ વાહન વ્યવહારનો અનુભવ મળશે.
Input Credit Jignesh Patel
શાંતિદૂત હોવાની પોલ પાકિસ્તાન PMની એક પોસ્ટે જ ખુલ્લી પાડી, યુદ્ધ વિરામના નિર્ણયો લઈ રહી છે ત્રીજી શક્તિ આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
Published On - 11:51 am, Wed, 8 April 26