ચાલુ વર્ષે કમોસમી વરસાદ(Rain ) અને ખરાબ હવામાનને કારણે કેરીના (Mango )પાક પર અસર જોવા મળી હતી. પાછલા વર્ષ કરતા આ વર્ષે કેરીનો પાક 20 ટકાથી પણ ઓછો થયો છે. જેને લઈને કેરી પકવતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી હતી. રાજ્યભરમાં હવે મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ થઇ ચુક્યો છે. ત્યારે આંબાવાડીઓમાં મોડેથી તૈયાર થયેલા કેરીના પાકને વેડવાની કામગીરી હવે ધીરે ધીરે ગતિ પકડી રહી છે. શુક્રવારે વલસાડ એપીએમસી માર્કેટમાં નવી સીઝનની મુહૂર્તવિધિ વેપારીઓ દ્વારા પૂર્ણ કરવામાં આવી હતી.
આ વર્ષે કેરીનો પાક મોડો પડ્યો છે. જેથી અખાત્રીજને દિવસે થતી ખાતમહુર્તની વિધિ કરવામાં આવી ન હતી. વેપારીઓ અને ખેડૂતોનું માનીએ તો 20 મે સુધીમાં પહેલા ફાલનો કેરીનો પાક તૈયાર થશે તેવી ધારણા હતી. જેને લઈને વેપારીઓએ થોડા જથ્થામાં તૈયાર થયેલા કેરીના પાકને ઉપાડ્યો હતો. જેથી વલસાડ એપીએમસી માર્કેટમાં વેપારીઓએ મુલતવી રાખેલી મુહૂર્તવિધિ મોડે મોડે કરી હતી. વલસાડ એપીએમસી માર્કેટમાં પણ હાલ ખુબ ઓછા પ્રમાણમાં કેરીની આવક થઇ રહી છે. જેથી બજારે હજી વેગ પકડ્યો નથી.
અખાત્રીજના દિવસે અમુક વેપારીઓએ 50 થી 100 કિલો કેરીના માલથી મુહૂર્ત કરાયા હતા. પણ વેપારીઓ હજી ફૂલ સીઝનની રાહ જોઈ રહ્યા હતા. હવે આવનારા 8 થી 10 દિવસમાં માર્કેટ વધુ વેગ પકડેશે તેવું વેપારીઓને આશા છે. જોકે ચાલુ સીઝનમાં કેરીનો પાક 20 ટકાથી પણ ઓછો થયો છે. જેથી સારી ગુણવત્તા વાળી કેરી ખરીદવા માટે લોકોએ વધુ રૂપિયા ખર્ચવા પડશે એ નક્કી છે.
વલસાડ એપીએમસી માર્કેટમાં કેસર કેરીથી મુહૂર્ત કરવામાં આવ્યું હતું. હાલ કેસરની સારી ક્વોલિટીના માલનો પ્રતિમણ એટલે કે 20 કિલોનો ભાવ 1400 રૂપિયા સુધીનો બોલાયો હતો. જયારે હાફુસ અને રાજાપુરીના ભાવ 1100 થી 1200 રૂપિયા જ રહ્યા છે. આ વર્ષે હવામાન અસરથી 20 ટકા માલ ઓછો ઉતર્યો છે. કેરીનો પાક ઓછો હોવાથી જે પાક હાલમાં તૈયાર થયો છે. આમ કેરીના રસિકોને હવે આવનારા 10-15 દિવસમાં સારી કેરીનો સ્વાદ માણવા મળશે, જોકે તેના માટે વધુ રૂપિયા ખર્ચવા પડશે એ નક્કી છે.