વલસાડ (Valsad) જીલ્લામાં એકનિવૃત્ત કર્મચારીના બેન્ક એકાઉન્ટમાંથી(Bank Account) કોઈ પણ પ્રકારના otp વગર સાડા પાંચ લાખ રૂપિયા ઉપડી ગયાની ઘટના બની હતી. જે બાદ નિવૃત કર્મચારીએ છેતરપીંડીની(Fraud) પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસ તપાસમાં પૈસા ઉપડવામાં વર્ષ 2013માં બંધ કરાવેલા મોબાઈલ નંબરનો ઉપયોગ થયાનું સામે આવ્યું હતું. આ કેસમાં પોલીસે 6 આરોપીની ધરપકડ કરી હતી. મળતી માહિતી અનુસાર નિવૃત્ત કર્મચારીએ બેંક ખાતા સાથે લીંક થયેલો મોબાઈલ નંબર 2013માં બંધ કરાવી દીધો હતો પરંતુ, તેની બેંકને જાણ કરી ન હતી. જે બાદ મોબાઈલ કંપની દ્વારા નિવૃત કર્મચારીનો નંબર થોડા સમય પહેલા સુરતના રાહુલ નામના એક રત્નકલાકારના હાથ લાગ્યો હતો. જે નંબર ચાલુ કરાવતા નિવૃત કર્મચારીના ખાતાના ટ્રાન્જેક્શનના રૂપિયાનો SMS આવતા તેમના ખાતામાં 5.50 લાખ રૂપિયા હોવાનું જાણવા મળતા રત્નકલાકારની નિયત બગડી હતી.
જેથી નિવૃત કર્મચારીની બેન્કના કર્મચારીને સાથે રાખી રત્નકલાકારે 5.50 લાખની ઓનલાઇન છેતરપિંડી કરી હતી. આરોપીએ તેના મોબાઈલમાં બેંકની મોબાઈલ એપ ડાઉનલોડ કરી અલગ અલગ ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા.આ સમગ્ર ઘટનાની જાણ નિવૃત કર્મચારીને થતા તાત્કાલિક વલસાડ સાઇબર ક્રાઇમ કચેરીનો સંપર્ક કર્યો હતો. જેમાં સાઇબર ક્રાઇમની ટીમે તપાસ કરતા સુરત, ભાવનગર અને બોટાદ અલગ અલગ ટીમો બનાવી ગુનામાં સંડોવાયેલા 6 યુવકોની ધરપકડ કરવામાં આવી હતી. બેંકર કનુભાઈ નામનો કર્મચારી અને બેન્ક મેનેજર વોન્ટેડ છે. આ ઘટના બાદ બેંક ખાતેદાર જ્યારે પણ તેનો કોઈ મોબાઈલ નંબર બંધ કરે તો તે અંગેની બેંકને જાણ કરવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે જેથી આ પ્રકારની છેતરપિંડીથી બચી શકાય.
આરોપીઓમાં મોટે ભાગે એકબીજા માં સગા હોવાનું પોલીસે જણાવ્યું છે. આમ, વલસાડ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઇન ઠગ ટોળકી ઝડપી પાડી છે. જેથી ઠગાઇ ના નાણાં પાછા મેળવવા પોલીસે તપાસ હાથ ધરી છે. જો આપના બેંક એકાઉન્ટ માં નોંધાવેલ મોબાઈલ નંબર બંધ કરી દીધો હોય તો સાવધાન થવાની જરૂર છે. કારણ કે બેંક માં નોંધાવેલ જૂના બંધ થઈ ગયેલા મોબાઈલ નંબર થી પણ આપનું બેંક એકાઉન્ટ ખાલી થઈ શકે છે.
Published On - 5:52 pm, Wed, 25 May 22