વલસાડ (Valsad ) જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ખેડૂતોને (Farmers ) બેંકમાંથી 3 લાખ સુધીની પાક ધિરાણ લોન મળે છે. જેના પર ઝીરો ટકા વ્યાજે આપવાની જાહેરાત કરવામાં આવી હતી. એ બાદ વલસાડ જિલ્લા સહિત રાજ્યના અસંખ્ય ખેડૂતોએ પાક ધિરાણ માટે લોન લીધી હતી. જોકે, રાજ્ય સરકાર દ્વારા બેંકને સબસીડીની રકમ ન મળતા હવે ખેડૂતોએ પાક ધિરાણનું વ્યાજ ચૂકવવું પડી રહ્યું છે. જેને લઈને ખેડૂતોને હેરાન થવાનો વારો આવ્યો છે. જે ધ્યાનમાં લઈને વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી રાજ્ય સરકારને પાક ધિરાણની સબસીડી ખેડૂતોના ખાતામાં જમા કરવાની માંગ કરવામાં આવી હતી.
તેઓએ પોતાની રજુઆતમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા બેંકને સબસીડીની રકમનું ચૂકવણું ન કરાતાં ખેડૂતોએ પાક ધિરાણનું વ્યાજ ચૂકવવું પડી રહ્યું છે. આ ઉપરાંત એવી પણ રજૂઆત કરવામાં આવી હતી કે આ મામલે ઝડપથી કોઈ નિરાકરણ લાવવામાં આવે નહીં તો આ મુદ્દાને લઈને રાજ્યભરના ખેડૂતોને સાથે રાખીને લડત ચલાવવામાં આવશે.
નોંધનીય છે કે ખેડૂતોને સમયસર પાક ધિરાણ સરળતાથી મળી રહે તે માટે કેન્દ્ર સરકારે સુધીના પાક ધિરાણ ઉપર ઝીરો વ્યાજની જાહેરાત કરવામાં આવી હતી. જેની સાથે ગુજરાતના ઘણા ખેડૂતોએ ખેતીના પાક પર 3 લાખ સુધીની પાક ધિરાણ લોન યોજના હેઠળ લીધી હતી. આ યોજના માં 3 લાખ સુધીની લોન ઉપર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા બેન્કને સહાય ચુકવવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. આ યોજનાની જાહેરાત બાદ ખેડૂતોએ પાક ધિરાણ યોજના હેઠળ 3 લાખ સુધીની લોન મેળવી હતી.
જોકે ખેડૂતોને 3 લાખની પાક ધિરાણ લોન સામે રાજ્ય સરકારની જાહેરાત મુજબ વ્યાજમાં રાહતની રકમ બેંકોમાં જમા ન થતા ખેડૂતોએ પાક ધિરાણ લોન ઉપર વ્યાજની વધારાની રકમ ચૂકવવી પડી રહી છે. ત્યારે વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ જીતુ દેસાઈ અને અન્ય કાર્યકરો તેમજ અગ્રણીઓએ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી પાક ધિરાણની સબસિડીની રકમ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે તેવી માંગ સાથે રજૂઆત કરી હતી. જેથી ખેડૂતોને મળનારી આ રકમ ચોમાસામાં બિયારણ અને અન્ય ખર્ચમાં ઉપયોગી થઈ શકે.