Vadodara : રાજ્યમાં કોરોના બાદ મ્યુકોરમાઇકોસિસએ (Mucormycosis) ચિંતા વધારી છે. આ રોગના દર્દીઓમાં વધારો થતા તંત્ર પણ સતર્ક થયું છે. રાજ્યમાં મ્યુકોરમાઇકોસિસના કેસ ભલે રાજકોટ અને અમદાવાદમાં વધારે હોય પરંતુ સર્જરી મામલે વડોદરા મોખરે રહ્યું છે.
અમદાવાદ અને રાજકોટમાં જેટલી સર્જરી થઇ છે તેનાથી વધુ સર્જરી વડોદરામાં થઇ છે. વડોદરામાં ગોત્રી હોસ્પિટલ અને એસએસજી હોસ્પિટલમાં 1540થી વધુ દર્દીની સર્જરી કરવામાં આવી છે. જયારે અમદાવાદમાં 650થી વધુ અને રાજકોટમાં 620થી વધુ સર્જરી કરવામાં આવી છે.
વડોદરામાં ખાનગી હોસ્પિટલમાં તો અલગથી સર્જરી કરવામાં આવી હતી. સુરતમાં પણ અત્યાર સુધી 400થી વધુ સર્જરી કરવામાં આવી છે. નોંધનીય છે કે, વડોદરામાં 21 દિવસમાં જ જડબાની 265 અને અન્ય 518 સર્જરી કરવામાં આવી હતી.
વડોદરામાં ગુરુવારે એસએસજી અને ગોત્રી હોસ્પિટલમાં મ્યૂકોરમાઇકોસિસના નવા 5 કેસ આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં એક દર્દીનું મોત થયું હતું. 24 કલાકમાં 9 દર્દીઓએ મ્યૂકોરમાઇકોસિસને મ્હાત આપી છે. હાલ એસએસજીમાં 134 અને ગોત્રી હોસ્પિટલમાં 47 થઇને કુલ 181 દર્દીઓ સારવાર હેઠળ છે. ગુરુવારે ગોત્રીમાં 22 અને એસએસજીમાં 23 સહિત કુલ 45 સર્જરીઓ કરવામાં આવી હતી.
સરકારે મ્યૂકરમાઈકોસિસથી બચવાના પાંચ ઉપાયો જાહેર કર્યા છે. સરકારે જાહેર કરેલા ઉપાયોની વાત કરીએ તો, કોરોના થયો હોય કે ન થયો હોય લોકોએ સુગર લેવલ મર્યાદા કરતા ઓછું રાખવા પ્રયાસ કરવો.
કોરોનાની સારવાર દરમિયાન છઠ્ઠા દિવસ પછી જરૂર જણાય તો જ સ્ટિરોઈડનો ઉપયોગ કરવો. સ્ટિરોઈડનો ઉપયોગ પણ ડોક્ટરના ઓબ્ઝર્વેશનમાં જ કરવો. કોરોનાનો દર્દી ઓક્સિજન પર હોય તો તેના માસ્કમાં પાણીના ટીપા બાઝે તો તેને સાફ કરવા અને અન્ય પાણીનો ઝડપથી નિકાલ કરવો.
કોરોનાના દર્દીઓએ શરીરની યોગ્ય સાફ સફાઈ જાતે થાય તો કરવી અથવા વોર્ડ બોય દ્વારા સફાઈ કરાવવી. મોઢામાં ક્યાંય પણ અલ્સર થાય કે ચાંદી પડે ત્યારે સામાન્ય સારવાર દ્વારા તેનો ઝડપી ઉકેલ લાવવો જોઈએ. આ બિમારીને ઝાયગોમાઈકોસિસના નામે પણ ઓળખાય છે.