વડોદરા (Vadoadara)માં ગણેશ મહોત્સવને લઈ પોલીસભવનમાં શાંતિ સમિતી (Peace Committee)ની બેઠક મળી. જેમાં ગણેશ ઉત્સવ અને વિસર્જન દિવસ દરમિનયાન કાયદો વ્યવસ્થા અને કોમી એકતા જળવાય રહે તે માટે મંથન કરાયું. આ ઉપરાંત ગણેશ પંડાલોમાં રાત્રીના સમયે તથા ગણપતિ વિસર્જન (Visarjan)ના દિવસે ટ્રાફિક સહિતની વ્યવસ્થા જળવવા અંગે સૂચનો કરાયા. પોલીસ કમિશનરના અધ્યક્ષ સ્થાને મળેલી આ બેઠકમાં જિલ્લા કલેકટર પણ હાજર રહ્યા. આ ઉપરાંત પોલીસ અધિકારીઓ, રાજકીય પક્ષોના આગેવાનો તેમજ હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
વડોદરાના પોલીસ કમિશનર શમશેરસિંહે જણાવ્યુ કે ગણેશ વિસર્જન દરમિયાન તમામ લોકોએ સહયોગ આપવા માટેની ખાતરી આપી છે. જેમાં મુસ્લિમ સમાજ તરફથી ગણેશજીની સવારી જ્યારે નીકળે તે દરેક જગ્યા ઉપર સ્વાગત થાય એ બાબતનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં મુસ્લિમ સમાજના યુવક મંડળ પણ ગણેશજીની સવારીની સ્વાગત કરવા માટેની તૈયારી બતાવી છે. પાણીગેટ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાને ધ્યાને રાખી ગણપતિ વિસર્જનના ટાઈમિંગને લઈને પણ નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી કરીને ટ્રાફિક જામ ન થાય. તેમજ આ વર્ષે કીર્તિ સ્તંભવાળા રોડ પરથી અને ડાંડિયા બજાર બાજુથી એમ બે રૂટ પણ વિસર્જન માટેના નક્કી કરવામાં આવ્યા છે.
આ અંગે વડોદરાના સાંસદ રંજન બેન ભટ્ટે જણાવ્યુ કે જે રીતે મહોરમનો તહેવાર બધાએ મળીને સારી રીતે ઉજવ્યો હતો, જેમાં હિંદુ સમાજે સહયોગ આપ્યો હતો. એ જ રીતે તમામ સમાજના લોકો મળીને વડોદરાના ગણપતિ વિસર્જનના કાર્યક્રમમાં સહયોગ આપે અને કોઈને પણ આ કાર્યક્રમ દરમિયાન તકલીફ ન પડે.