વડોદરામાં (Vadodara) મંકી પોકસ વાયરસની ભીતિ વચ્ચે તંત્ર સજજ થયું છે. મંકી પોક્સના (Monkey Pox) સંકટ વચ્ચે ચેપી રોગ હોસ્પિટલમાં અલાયદો વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. બીજી તરફ મંકીપોકસના રોગ સામે આગોતરી તકેદારીના ભાગરૂપે સોમવારે સયાજી હોસ્પિટલના (Sayaji Hospital) વિવિધ વિભાગોના વરિષ્ઠ તબીબોની બેઠક યોજાઇ હતી. જેમાં જરૂરિયાતના સમયે આ રોગની સારવાર માટે યોગ્ય પગલા લઇ શકાય તે માટે એક કમિટીની રચના કરવામાં આવી. સાથે જ મંકી પોક્સના શંકાસ્પદ દર્દીની સારવાર માટેની SOP પણ નક્કી કરવામાં આવી. જેથી આ રોગ વધુ ન ફેલાય.
વડોદરાની સયાજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. રંજન કૃષ્ણ ઐયરના અધ્યક્ષ પદે મંકી પોક્સ વાયરસને લઇને બેઠક મળી હતી. જેમાં જરૂરિયાતના સમયે આ રોગની સારવારના નિયમન માટે કોર કમિટીની રચના કરવામાં આવી. સાથે જ આ રોગથી અસર પામેલા કે શંકાસ્પદ દર્દીની સારવાર માટે યોગ્ય કાર્ય પધ્ધતિથી નક્કી કરવામાં આવી છે. મંકી પોક્સના દર્દીને શરુઆતમાં કારેલીબાગમાં આવેલી ચેપીરોગની હોસ્પિટલમાં બનાવવામાં આવેલા આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જો આ પ્રકારનો કોઈ કેસ આવે તો ચેપી રોગ દવાખાનાના તબીબ,ચર્મ રોગ,બાળ રોગ,પી.એસ.એમ.અને નેત્રરોગ વિભાગના તબીબો સંકલિત કામગીરી કરે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.
શંકાસ્પદને મંકીપોક્સ છે કે નહિ તેની ખાતરી કરવા માટે સૌ પ્રથમ અસરગ્રસ્તના સ્પષ્ટ ફોટો મેળવીને ચર્મરોગના સહ પ્રાધ્યાપક ડૉ. હિરલ શાહને રીફર કરવામાં આવશે. ત્યારબાદ આ કામગીરીમાં જો કેસ વડોદરા શહેરી વિસ્તારનો હોય તો એપીડેમીઓલોજિસ્ટ ડો.પિયુષ પટેલ અને ગ્રામ વિસ્તારનો હોય તો ઈ.એમ.ઓ. ડૉ. રાહુલ સિંઘ તેમને જરૂરી સહાયતા કરશે. મંકી પોક્સની સારવાર માટે અન્ય નિષ્ણાંત તબીબોની પણ મદદ લેવામાં આવશે.
ચહેરા, હાથ, પગ, મોં અને જનનાંગો પર ફોલ્લા સાથે ફોલ્લીઓ થવી, તાવ આવવો, માથામાં દુખાવો થવો, થાક લાગવો, અસ્વસ્થતાની લાગણી અનુભવવી અને લસિકાગ્રંથીઓ પર ગાંઠો અને સોજો થવો, મોઢા, હાથ અને પગના પંજાના ભાગથી ચાઠા અને ચકામાં પડવાની શરૂઆત થાય છે. જે ધીમે ધીમે શરીરમાં અન્ય ભાગોમાં પ્રસરે છે.
મંકીપોક્સના લક્ષણો જણાઇ આવતા હોય તેવા કોઇપણ વ્યક્તિ સાથે ત્વચાથી–ત્વચા અથવા ચહેરાથી – ચહેરાનો સંપર્ક ટાળવો. સ્વચ્છતા જાળવવી(હંમેશા હાથ સાફ રાખવા). સુરક્ષિત સેક્સનો અભ્યાસ કરવો. સંક્રમિત વ્યક્તિની કાળજી લેતી વખતે હાથમાં મોજા અને PPE કીટ પહેરવી.
મંકીપોક્સથી સંક્રમિત દર્દીને સૌ પ્રથમ આઇસોલેસનમાં રાખવામાં આવે છે. આ દરમિયાન રોગ સામે રક્ષણાર્થે સપોર્ટીવ કેર થેરાપી શરૂ કરવામાં આવે છે. હાઇરીસ્ક સંક્રમણ હોય તેવા કિસ્સામાં નિષ્ણાંત તબીબની સલાહ-સૂચન મુજબ એન્ટીવાયરલ ડ્રગ આપવામાં આવે છે. સમગ્ર સારવાર દરમિયાન દર્દીનું હાઇડ્રેશન મેઇન્ટેન કરવું પડે છે. મલ્ટી વિટામીન નિયમિત રીતે આપવામાં આવે છે. વાયરસના સંક્રમણના કારણે શરીરમાં ડેમેજ થયેલા કોષના પુન:નિર્માણમાં તે મદદરૂપ બને છે.
Published On - 10:02 am, Tue, 2 August 22