વડોદરામાં(Vadodara) મહાશિવરાત્રીના(Mahashivratri) પર્વે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વિરાટ સર્વેશ્વર મહાદેવની (Sarveswar Mahadev) આરતી અને ભાવ વંદના કરી હતી. તેમણે કરુણામૂર્તિ શિવજીને સમગ્ર વિશ્વમાં શાંતિ જળવાય અને યુદ્ધની વિભિષિકામાંથી ભારતવાસીઓને હેમખેમ,સલામત લાવવાના પ્રધાનમંત્રીના પ્રયત્નોને સંપૂર્ણ સફળતા મળે એવી નમ્ર પ્રાર્થના કરી હતી.શિવરાત્રી મહા પર્વના મહિમાનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે સમસ્ત બ્રહ્માંડમાં જ્ઞાનના પ્રાગટ્યનો આ દિવસ છે.ભોળા શંભુ સ્વયં જ્ઞાન સ્વરૂપ છે.તેમણે આ પર્વે સૌ જીવમાંથી શિવના રૂપાંતરણ નો સંકલ્પ કરે એવો અનુરોધ કરવાની સાથે આ ભવ્ય પરંપરા માટે ધારાસભ્ય યોગેશભાઈ અને સત્યમ શિવમ સુંદરમ્ સમિતિને અભિનંદન પાઠવ્યા હતા.
શિવરાત્રીના પાવન પર્વે મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલે વડોદરા સહિત ગુજરાત અને દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.સાવલીના વંદનીય સ્વામીની પ્રેરણા તેમજ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ તેમજ સંતોના આશીર્વાદથી પૂર્વ મંત્રી અને ધારાસભ્ય યોગેશભાઈ પટેલે સત્યમ શિવમ સુંદરમ્ સમિતિના નેજા હેઠળ લોક સહયોગથી વડોદરાની શાન સમા સુરસાગર સરોવરની મધ્યમમાં અને વડોદરાના હૃદય સ્થાને સર્વેશ્વર શિવની વિરાટ પ્રતિમાની સ્થાપના કરી છે . તેમજ દર્શનીય શિવ પરિવાર પ્રતિમાઓની સ્થાપના કરી છે.તે પછી નિર્માણ કાર્યના પ્રારંભથી મહા શિવરાત્રી પર્વે મહા આરતી અને શિવ પરિવારની નગરયાત્રા વડોદરાની ધર્મ પરંપરા બની ગયા છે.આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી મહા આરતીમાં જોડાય એ લગભગ વણ લખ્યો નિયમ બની ગયો છે.હાલમાં આ પ્રતિમાના મુખને સોનાના ઢાળથી મઢવામાં આવ્યું છે અને ક્રમશ: આખી પ્રતિમા સુવર્ણ આવરણથી મઢવામાં આવી રહી છે.તેનાથી વડોદરાનું પ્રવાસન આકર્ષણ અપરંપાર વધ્યું છે.આજે 26 મી મહાઆરતી અને નવમી શિવજી કી સવારી યોજાઈ હતી.
વડોદરા શિવમય નગરી બનીને આ શિવ પર્વ ઉજવે છે તેનો ઉલ્લેખ કરતાં સત્યમ શિવમ સુંદરમ્ સમિતિના મોભી ધારાસભ્ય યોગેશ પટેલે સૌને આવકારતા જણાવ્યું કે આવતા વર્ષે 111 ફૂટની આખી મૂર્તિને સુવર્ણજડિત બનાવવાનો સંકલ્પ પૂરો થઈ જશે.એકતા નગરી કેવડિયામાં સરદાર પ્રતિમાના દર્શને જતા પ્રવાસીઓ અવશ્ય વડોદરા આવીને આ પ્રતિમા ને વંદન કરશે જેના પરિણામે પ્રવાસન અને વ્યાપારનો વિકાસ થશે.આ પ્રતિમા વડોદરાની ઓળખ,આઈકોન બની ગઈ છે એવી લાગણી વ્યક્ત કરતા મેયર કેયુર રોકડિયા જણાવ્યું કે નવનાથની નગરીના દશમા નાથ સર્વેશ્વર બન્યા છે.મહા આરતીએ વડોદરાની ગૌરવ પરંપરા બની ગઈ છે.
આ પણ વાંચો : Valsad: તાંત્રિક પર વિશ્વાસ કરવો ભારે પડ્યો, કારના શો રૂમના મેનેજરે રૂ. 21.5 લાખ ગુમાવ્યા
આ પણ વાંચો : Ahmedabad: યાત્રાધામ પીરાણાના વિકાસ કામોનું લોકાર્પણ, ફોરલેન રોડ શરૂ કરાયો
Published On - 9:35 pm, Tue, 1 March 22