હરિધામ સોખડા વિવાદ મુદ્દે ત્યાગવલ્લભ સ્વામીનું મોટું નિવેદન, જાણો TV9 સાથેની ખાસ વાતચીતમાં શું કહ્યું?
સોખડા મંદિર ગાદી અને ગુણાતીત સ્વામીના નિધન વિવાદ વચ્ચે પ્રથમવાર ત્યાગવલ્લભ સ્વામી મીડિયા સમક્ષ આવ્યા હતા.
હરિધામ સોખડામાં સંપત્તિનો નહીં, ઉપાસનાના સિદ્ધાંતનો વિવાદ છે. સોખડાના બે જૂથોના વિવાદ વચ્ચે પ્રથમવાર આ નિવેદન આપ્યું છે પ્રેમસ્વરૂપ સ્વામી જૂથના સંત ત્યાગવલ્લભ સ્વામીએ. સોખડા મંદિર ગાદી અને ગુણાતીત સ્વામીના નિધન વિવાદ વચ્ચે પ્રથમવાર ત્યાગવલ્લભ સ્વામી મીડિયા સમક્ષ આવ્યા અને Tv9 સાથેની Exclusive વાતચીતમાં તમામ સવાલોના જવાબ આપ્યા છે. Tv9ના માધ્યમથી ત્યાગવલ્લભ સ્વામીએ પ્રબોધ સ્વામી જૂથને મહોત્સવમાં સામેલ થવા આમંત્રણ આપ્યું હોવાનું જણાવ્યું હતું, સાથે જ ગાદી વિવાદમાં ભૂમિકાનો પણ ઇન્કાર કર્યો છે.
તેમણે કહ્યું કે સોખડામાં સંપત્તિનો નહીં પણ ઉપાસનાના સિદ્ધાંતનો વિવાદ છે અને એમ પણ કહ્યું કે સોખડા મંદિર ગાદી વિવાદમાં મારી કોઇ ભૂમિકા નથી. હરિપ્રસાદ સ્વામીએ પ્રેમસ્વરૂપ સ્વામીને ગાદી સોંપી છે. આમ છતાં સમગ્ર વિવાદમાં અમે સમાધાન માટે તૈયાર છીએ. સોખડામાં પ્રેમસ્વરૂપ સ્વામીનો કોઇ વિકલ્પ નથી. તેમણે ગુણાતીત સ્વામીના નિધનને દૂર્ભાગ્યપૂર્ણ ઘટના ગણાવી હતી. તેમણે એમ પણ કહ્યું કે હું કબૂલ કરૂ છું કે પોલીસને જાણ કરવામાં મોડું થયું હતું. પોતાન પરના આરોપ ફગાવતાં તેમણે કહ્યું કે ઓડિયો ક્લીપમાં મારા પર લાગેલા આરોપો ખોટા છે. અમે ક્યારેય કોઇ સંતો પર પ્રતિબંધ નથી લગાવ્યા.
દરમિયાન હરિધામ સોખડામાં હરિપ્રસાદ સ્વામીની જન્મ જયંતિ ઉજવાશે તેની માહિતી પણ ત્યાગવલ્લભ સ્વામીએ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે મસ્વરૂપ સ્વામી જૂથ દ્વારા સોખડા સ્વામિનારાયણ મંદિરમાં હરિપ્રસાદ સ્વામીના 88મા પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવશે. જેના માટે મંદિરના સ્વયંસેવકો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ પણ કરી દેવામાં આવી છે. 11મી મેના દિવસે થનાર જન્મ જયંતિ મહોત્સવની ઉજવણીમાં દેશ-વિદેશના હરિભક્તો જોડાશે. મહત્વપૂર્ણ છે કે વૈશાખ સુદ દશમનો દિવસે અક્ષરવાસી હરિપ્રસાદ સ્વામીનો પ્રાગટ્ય દિવસ છે.
88મા પ્રાગટ્ય દિવસ નિમિત્તે સોખડામાં થનારી ઉજવણી પર નજર કરીએ તો હરિપ્રસાદ સ્વામીને પ્રિય એવા શ્રીમદ ભગવદ ગીતાના પાઠ અને યજ્ઞ કરાશે. તો 88મા પ્રાગટ્ય દિવસ નિમિત્તે 88 જોડાઓ યજ્ઞમાં આહૂતિ આપશે. આ યજ્ઞનો હેતુ વિશ્વમાં શાંતિ સ્થપાય તેવો છે. તો ભવ્ય ઉજવણી માટે મંદિર નજીક સો ફુટ બાય 60 ફુટનો વિશાળ સ્ટેજ તૈયાર કરાયો છે. જ્યાં ઠાકોરજીની પધરામણી કરાશે. આ કાર્યક્રમમાં પ્રેમસ્વરૂપ સ્વામી સહિત અનેક સંતો-મહંતોની હાજરી હશે. તો દેશ-વિદેશથી આવતા હરિભક્તો માટે પાર્કિગની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે જન્મ જયંતિ મહોત્સવમાં દેશ-વિદેશના 50 હજાર હરિભક્તો જોડાય તેવો દાવો કરાયો છે.