યૂનિક ઓપરેશન: અમદાવાદ સિવિલમાં માત્ર એક ઓપરેશનથી અઢી વર્ષની પીડામાંથી રાજકોટના મહિલા મુક્ત, સ્પાઈન સર્જનોએ દર્દીનું જીવન બદલ્યુ
રાજકોટના એક ખાનગી તબીબે માનવતાવાદી વલણ અપનાવીને પ્રભાબહેનને એક ચિઠ્ઠીમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલના સ્પાઈન સર્જન ડૉ. જે.વી.મોદીનું નામ લખીને કહ્યું કે અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચી જાવ. ત્યાં સ્પાઈન સર્જન આ પ્રકારની સર્જરી સફળતાપૂર્વક કરી શકશે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલ (Ahmedabad Civil Hospital)ના સ્પાઈન સર્જનોએ 2.5 વર્ષથી ગંભીર તકલીફમાંથી પસાર થઈ રહેલા એક દર્દીનું જીવન બદલ્યુ છે. રાજકોટ (Rajkot)ના 55 વર્ષના પ્રભાબહેને (Prabhaben) 2.5 વર્ષ પહેલા કરોડરજ્જુના ભાગમાં તકલીફ ઉભી થતા ખાનગી હોસ્પિટલમાં સર્જરી કરાવી હતી. સર્જરીના 6 મહિનામાં જ પતિનું અવસાન થયું. પ્રભાબહેનને અંગત પરિવારમાં એક દિકરી છે, જેઓ પણ પરિણીત છે.
પતિના અવસાન બાદ એકલવાયુ જીવન પસાર કરી રહેલા પ્રભાબહેનના પતિના વિલાપ સાથે શારિરીક પીડામાં પણ વધારો થયો. મણકામાં કરાવેલી સર્જરીના કારણે દુખાવો શરૂ થયો. આ દુખાવો દિવસેને દિવસે અસહ્ય બનતો ગયો. મણકાનો દુખાવો અસહ્ય બનતા ફરી વખત તેઓ ખાનગી તબીબ પાસે ગયા. ત્યાં જાણ થઈ કે અગાઉ કરેલી સર્જરી દરમિયાન મુકવામાં આવેલ સ્ક્રુ અને સળીયા ખસી ગયા છે. જેના કારણે ફરી વખત સર્જરી કરવી પડે તેમ હતું. ખાનગી તબીબે આ સર્જરી માટે 4 લાખનો જંગમ ખર્ચ કહ્યો.
પતિના અવસાન બાદ રાજ્યસરકારની ગંગાસ્વરૂપ પેન્શન સહાયથી જીવન ગુજરાન ચલાવતા પ્રભાબહેન માટે 4 લાખના જંગમ ખર્ચે શરીરની પીડા દૂર કરવી લગભગ અસહ્ય બની રહ્યું હતુ. વળી આ પ્રકારની રીવીઝન સ્પાઈન સર્જરી અતિ જટીલ હોવાથી નિષ્ણાંત સ્પાઈન તબીબ સિવાય અન્ય કોઈ કરી શકે તેમ પણ ન હતું.
રાજકોટના એક ખાનગી તબીબે માનવતાવાદી વલણ અપનાવીને પ્રભાબહેનને એક ચિઠ્ઠીમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલના સ્પાઈન સર્જન ડૉ. જે.વી.મોદીનું નામ લખીને કહ્યું કે અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચી જાવ. ત્યાં સ્પાઈન સર્જન આ પ્રકારની સર્જરી સફળતાપૂર્વક કરી શકશે.
સિવિલ હોસ્પિટલમાં સંપૂર્ણપણે વિનામૂલ્યે તમારી સર્જરી થઈ શકશે. પ્રભાબેન ક્ષણભરનો પણ વિલંબ કર્યા બાદ ચિઠ્ઠી લઈ વાહન કરીને અમદાવાદ સિવિલ હોસ્પિટલ આવી પહોંચ્યા. અહીં સ્પાઈન વિભાગના તબીબોએ પ્રભાબેનના અન્ય રીપોર્ટના આધારે રોગ પારખી સિવિલ હોસ્પિટલમાં પણ એક્સ-રે , સી.ટી.સ્કેન અને એમ.આર.આઈ. જેવા રીપોર્ટસ કરાવીને સર્જરીની ગંભીરતા સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો.
રીપોર્ટસ જોતા ખબર પડી કે કમરમાં નાખવામાં આવેલ સળીયા વળી ગયા છે, જેને મેડીકલ ભાષામાં Implant Faliure કહેવાય છે. જેના કારણોસર જ પ્રભાબેનના શરીરનો એક ભાગ સંપૂર્ણપણે નિસ્ક્રીય એટલે કે પેરાલાઈઝ થઈ ગયો હોય તેવું લાગી રહ્યું હતુ. પ્રભાબેનને હલનચલનમાં પણ અત્યંત તકલીફ પડી રહી હતી.
આ સમગ્ર જટીલતા જોવા સિવિલ હોસ્પિટલના સ્પાઈન સર્જરી વિભાગના વડા અને સિવિલ હોસ્પિટલ સુપ્રીન્ટેન્ડન્ટ અને તેમની ટીમ દ્વારા પ્રભાબેનની સર્જરી પ્લાન કરવામાં આવી. અગાઉ પણ આ પ્રકારની સર્જરીના બહોળા અનુભવ ધરાવતા તબીબોની ટીમે ભારે જહેમત બાદ કમરના ભાગમાં તૂટી ગયેલ તમામ સળીયાને હેમખેમ બહાર કાઢ્યા. આ સળીયા બહાર કાઢ્યા બાદ તેઓએ ખૂબ જ સલામતી અને સાવચેતીપૂર્વક સપોર્ટના આધારે નવા સ્કુ અને સળીયા ફીટ કર્યા.
સર્જરીપૂર્ણ થયા બાદ પ્રભાબેનની સ્થિતિની ગંભીરતા જોવા તેમને આઈ.સી.યુ.માં દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા. બે દિવસ બાદ આજે તેઓ સંપૂર્ણપણે સાજા થયા છે અને હલનચલન કરવા પણ સક્રિય બન્યા છે. રિવિઝન સ્પાઈન સર્જરીની વિગતો આપતા ડૉ. જે.વી. મોદી જણાવે છે કે અમદાવાદ સિવિલ હોસ્પિટલના સ્પાઈન સર્જરી વિભાગ દ્વારા કોરાનાકાળ દરમિયાન ઘણી રીવીઝન સ્પાઈન સર્જરી હાથ ધરવામાં આવી છે. જેમાં તમામ સર્જરીઓ સફળ રહી છે.
અહીં અન્ય ખાનગી હોસ્પિટલ અથવા તો રાજ્ય બહારના દર્દીઓ પણ જેઓ અન્ય જગ્યાએ સારવારથી નિરાશ થઈને સિવિલ હોસ્પિટલ સાજા થવાની આશા સાથે આવે છે. સિવિલ હોસ્પિટલના તમામ તબીબો દ્વારા પણ તમામ દર્દીઓને પીડામૂક્ત કરીને ઘરે પરત મોકલવાના પ્રયાસ રહે છે.
આ પણ વાંચો: Surat : શાળાના અભ્યાસક્રમમાં કોરોનાનો સમાવેશ કરનાર દેશનું પહેલું શહેર બન્યું ‘સુરત’