
ગણેશોત્સવ પહેલાં પર્યાવરણનું રક્ષણ કરવા અને પ્લાસ્ટિક કચરાના નિકાલ માટે સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. ‘પ્લાસ્ટિક કચરો આપો અને મફતમાં માટીના ગણેશજી મેળવો’ અભિયાન હેઠળ નાગરિકોને રિસાયકલ કરી શકાય તેવો પ્લાસ્ટિક કચરો જમા કરાવવાના બદલામાં ઈકો-ફ્રેન્ડલી માટીની ગણેશજીની મૂર્તિ આપવામાં આવી રહી છે. આ અંગેનો વીડિયો Instagram પર @patelmansi4 અકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.
આ અભિયાનનો મુખ્ય હેતુ ગણેશોત્સવ દરમિયાન શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા ઉપરાંત કેમિકલથી બનેલી મૂર્તિઓને બદલે પર્યાવરણને અનુકૂળ માટીની મૂર્તિઓને પ્રોત્સાહન આપવાનો છે. આ માટે નાગરિકો અથવા પરિવારોએ ઓછામાં ઓછો 1 કિલોગ્રામ રિસાયકલ કરી શકાય તેવો પ્લાસ્ટિક કચરો જમા કરાવવો પડશે. તેમાં જૂની પ્લાસ્ટિક બોટલ, ખાલી પ્લાસ્ટિકના ડબ્બા સહિતનો રિસાયકલ કરી શકાય તેવો કચરો સામેલ છે.
નાગરિકો સુરત મહાનગરપાલિકાના તમામ 9 ઝોન ઓફિસમાં આવેલા 5R સેન્ટર્સ પર જઈને પ્લાસ્ટિક કચરો જમા કરાવી શકે છે. કચરો આપ્યા બાદ તેના બદલામાં માટીની ઈકો-ફ્રેન્ડલી શ્રીજીની મૂર્તિ મેળવી શકાશે. નાગરિકોમાં આ પહેલને લઈને સારો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે અને મોટી માત્રામાં પ્લાસ્ટિક કચરો એકત્રિત કરીને રિસાયક્લિંગ માટે મોકલવામાં આવી રહ્યો છે.
સ્થાનિક સોશિયલ મીડિયા અપડેટ્સ મુજબ, કેટલાક ઝોનમાં માટીની મૂર્તિઓનો સ્ટોક મર્યાદિત હોવાની માહિતી સામે આવી છે. તેથી નાગરિકોને વહેલી તકે સેન્ટર પર પહોંચવાની અથવા નવો સ્ટોક ઉપલબ્ધ થાય ત્યાં સુધી રાહ જોવાની સલાહ આપવામાં આવી રહી છે. SMCની આ પહેલથી એક તરફ પ્લાસ્ટિક કચરાના યોગ્ય નિકાલને પ્રોત્સાહન મળશે અને બીજી તરફ પર્યાવરણને અનુકૂળ રીતે ગણેશોત્સવ ઉજવવાનો સંદેશ પણ મળશે.