
અમદાવાદની પ્રતિષ્ઠિત યુ. એન. મહેતા હોસ્પિટલ કેમ્પસમાંથી સંચાલકોની ઘોર બેદરકારીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હોસ્પિટલ પરિસરમાં આવેલી અંડરગ્રાઉન્ડ સુવેજ ટેન્કની સફાઈ કામગીરી દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં ઝેરી ગેસના કારણે ત્રણ વ્યક્તિઓ ટેન્કની અંદર જ ફસાઈને બેભાન થઈ ગઈ હતી. આ ઘટનાને પગલે કેમ્પસમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
મળતી વિગતો મુજબ, હોસ્પિટલ કેમ્પસમાં અંડરગ્રાઉન્ડ સુવેજ ટેન્કની ક્લીનિંગ કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન સફાઈ કરી રહેલો એક શ્રમિક અચાનક ઝેરી ગેસના કારણે બેભાન થઈ ગયો હતો અને જમીન પરથી સીધો નીચે અર્ધ ભરેલી ટેન્કમાં ખાબક્યો હતો. તેને ડૂબતો અને બેભાન થતો જોઈ આસપાસ હાજર અન્ય બે વ્યક્તિઓ તાત્કાલિક તેની મદદ માટે ટેન્કની અંદર ઉતરી હતી. પરંતુ કમનસીબે, ટેન્કમાં રહેલા ઝેરી ગેસની અસરના કારણે તે બંને વ્યક્તિઓ પણ ત્યાં જ બેભાન થઈ ગઈ હતી અને સુવેજ પાણીની ટેન્કમાં ફસાઈ ગઈ હતી.
આ દુર્ઘટના અંગે અમદાવાદ ફાયર કંટ્રોલ રૂમને સાંજે 19:25 (07:25 સાંજના) કલાકે કોલ મળ્યો હતો, જ્યારે તે પહેલા 19:24 (07:24 સાંજના )કલાકે શાહપુર સ્ટેશન ફાયર ઓફિસરને ડાયરેક્ટ ફોન દ્વારા જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતા જોઈને નરોડા ફાયર સ્ટેશનને પણ 19:28 (07:28 સાંજના) કલાકે એલર્ટ કરાયું હતું. શાહપુર ફાયર સ્ટેશનથી સ્ટેશન ઓફિસર ભાવેશ રાવત બોલેરો અને અન્ય સ્ટાફ ERT (ઇમરજન્સી રેસ્ક્યુ ટીમ) સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા. નરોડા ફાયર સ્ટેશનના સ્ટેશન ઓફિસર યુવરાજદાન ગઢવી પણ ERV યોદ્ધા વાહન અને અન્ય સ્ટાફ સાથે તાત્કાલિક ત્યાં પહોંચ્યા હતા.
ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ અંડરગ્રાઉન્ડ સુવેજ ટેન્કમાંથી પ્રવીણ વાઘેલા, સાહિલ નાદિયા અને રોકી મેકવાન નામના ત્રણેય વ્યક્તિઓને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. હાલ આ ત્રણેય ઈજાગ્રસ્તો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે અત્યાધુનિક સુવેજ ક્લીનર મશીનો ઉપલબ્ધ હોવા છતાં આ પ્રકારની ઘટનાઓ કેમ બની રહી છે? શું આનો અર્થ એ થાય કે તંત્ર તેનો ઉપયોગ કરવા નથી માંગતું, અથવા તે મશીનો યોગ્ય સમયે ઉપલબ્ધ નથી હોતા કે પછી તે અંડર-મેઈન્ટેનન્સ (સમારકામ હેઠળ) છે?
જ્યારે સરકાર દ્વારા કરોડોના ખર્ચે આધુનિક સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે, તો પછી તેનો સમયસર ઉપયોગ કેમ કરવામાં આવતો નથી? શું માનવ જિંદગીની કોઈ કિંમત જ નથી? સતત આ પ્રકારની ગંભીર ઘટનાઓ અને બેદરકારીના કિસ્સાઓ સામે આવ્યા પછી પણ સરકાર આવા જવાબદાર અધિકારીઓ સામે ક્યારે કડક પગલાં લેશે?
Published On - 9:42 pm, Mon, 6 July 26