ભરૂચની પટેલ વેલફેર હોસ્પિટલના ICU વોર્ડમાં સર્જાયેલ અગ્નિકાંડ અને આગમાં ખાખ થઈ ગયેલી 18 જિંદગીઓ પાછળ લાઈટર જવાબદાર હોવાના મૃતક માધવીના ભાઈ જયએ આક્ષેપ સાથે ઓડિયો અને વિડીયો કલીપ વાઇરલ કરતા પોલીસ જયના ઘરે પહોંચી હતી જ્યાં પૂછપરછ બાદ જય પાસેથી પુરાવા મેળવી તેની ખરાઈ શરૂ કરાઈ છે.
ICU માં લાઈટરથી આગ લાગી હતી કે નહીં તે જાણવા FSL ની ટીમ દ્વારા ઘટના સ્થળનું રી ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે. FSL એ આગમાં બળીને ભસ્મીભૂત થયેલા ICU વોર્ડમાં ફરી ઝીણવટભરી તપાસ કરી લાઈટરના પુરાવાઓ શોધવા સહિત પુરાવા મેળવવા પ્રયાસો કરશે.
બીજી તરફ તપાસ અધિકારી ASP વિકાસ સુંડા દ્વારા મૃતક ટ્રેની નર્સ માધવીના ભાઈ જય પઢીયારે વિડીયો અને 3 ઓડિયો કલીપ જારી કરી આગ લાઈટરથી લાગી હોવાનો ઘટસ્ફોટ કરતા બી ડિવિઝન PI બી.એમ.પરમારે આ તરફ તપાસનો દોર લંબાવ્યો છે. ઉલ્લેખનીય છે કે જયે જે ઓડિયો કલીપ રજૂ કરી છે તેમાં વોર્ડમાં લાઇટરનો ઉલ્લેખ કરાયો છે.
જય પઢિયારે જણાવ્યું હતું કે પોલીસ ઓડિયો ક્લીપનું ફસલમા એનાલિસિસ અને સ્પેકટ્રોગ્રાફીથી તપાસ કરે તો ઘણી હકીકત ભાર આવી શકે તેમ છે. જયે ઓડિયો ક્લિપમાં ઉલ્લેખ કરેલ નર્સ જૈમિની સાથે ચાર્મીના ફરી નિવેદનોની પણ માંગ કરી છે.
મીડિયાના રિપોર્ટસને ધ્યાનમાં લઈને પોલીસ દ્વારા ફરીથી ફોરેન્સિક ટીમને બોલાવવામાં આવી છે. રિપોર્ટના આધારે ફોરેન્સિક ટીમે આધારભૂત પુરાવા મળી શકે તે માટે ઘટના સ્થળની ફરી તપાસ કરાશે . મૃતક નર્સનો ભાઈ જે એવિડન્સની વાત કરી રહ્યો છે તે પણ પોલીસે મેળવી ઓડિયો અને વીડિયો સાચા છે કે ખોટા તેનું ટેક્નિકલ ઈન્વેસ્ટિગેશન કર્યા બાદ સાચી વિગતો કહી શકાશે. ફોરેન્સિક ડિપાર્ટમેન્ટના રિપોર્ટ બાદ જ આગ લાગવાનું સાચું કારણ શું છે તે જાણી શકાશે છે તેમ હાલ તપાસ અધિકારી વિકાસ સુંડા જણાવી રહ્યા છે.