લેઉવા પટેલ સમાજની આસ્થાનું ધામ કાગવડ ખાતે સ્થિત ખોડલધામને ૨૧મી જાન્યુઆરીએ પાંચ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. અને આ દિવસે માતાજીના પાટોત્સવનું ભવ્ય આયોજન થઇ રહ્યું છે. અને આ પાટોત્સવમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહે તેવી શક્યતા છે જો કે આ પાટોત્સવનો આધાર સરકારની કોરોનાની ગાઇડલાઇન પર છે.જો કોરોનાના કેસમાં વધારો થશે તો આ કાર્યક્રમની રૂપરેખા બદલાય શકે છે.આ અંગે ખોડલધામની કોર કમિટી એક સપ્તાહમાં નિર્ણય લઇ શકે છે.જો આ કાર્યક્રમ યોજાય તો વિધાનસભાની ચૂંટણી પહેલા સૌથી મોટું પાટીદાર સંમેલન યોજાશે.
નરેશ પટેલે સૌરાષ્ટ્રમાં પ્રવાસ શરૂ કર્યા
આ કાર્યક્રમના ભાગરૂપે ટ્રસ્ટી મંડળ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.ખોડલધામના પ્રણેતા નરેશ પટેલ દ્રારા સૌરાષ્ટ્રના અમરેલી,જુનાગઢ તથા જામનગર જિલ્લામાં પ્રવાસ કર્યો છે અને પાટીદાર સમાજને કાર્યક્રમ અંગેની તૈયારીઓ શરૂ કરી છે.આ તૈયારીના ભાગરૂપે એક સપ્તાહમાં વધુ એક બેઠક મળવાની છે જેમાં કાર્યક્રમને અંતિમ મહોર મારવામાં આવશે અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સાથે ચર્ચા અંગે નિર્ણય લેવામાં આવશે.
વડાપ્રધાન કાર્યાલય સાથે પણ થઇ ચર્ચા
સૂત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે આ કાર્યક્રમનો આધાર કોરોનાની ગાઇડલાઇન અને સરકાર દ્રારા આપવામાં આવેલી છૂટછાટ પણ છે જો કે તે પહેલા પૂર્વ તૈયારીના ભાગરૂપે ખોડલધામ ટ્રસ્ટીઓ દ્રારા પ્રધાનમંત્રી કાર્યાલયનો સંપર્ક શરૂ કરી દેવામાં આવ્યો છે અને આ અંગેની ચર્ચા વિચારણા કરવામાં આવી છે.સંભવત: ટ્રસ્ટીઓ દ્રારા દિલ્હી જઇને રૂબરૂ રજૂઆત પણ કરવામાં આવશે.પ્રધાનમંત્રીની સાથે મુખ્યમંત્રી,કેન્દ્રીય કેબિનેટ મંત્રીઓ અને રાજ્ય સરકારના પાટીદાર મંત્રીઓ ઉપસ્થિત રહે તેવી શક્યતા છે.
તાજેતરમાં C R પાટીલ અને નરેશ પટેલ વચ્ચે યોજાઇ હતી બેઠક
તાજેતરમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ રાજકોટની મુલાકાતે હતા ત્યારે પાટીલે નરેશ પટેલના નિવાસસ્થાને બંધ બારણે બેઠક કરી હતી.આ બેઠક ખૂબ જ સૂચક માનવામાં આવી રહ્યું છે.
જો આ કાર્યક્રમ યોજાઇ તો વિધાનસભાની ચૂંટણી પહેલા દેખાશે પાટીદાર પાવર
કોઇપણ ચૂંટણી હોય તેમાં ખોડલધામ ચર્ચાનું કેન્દ્ર બને છે.જો વિધાનસભાની ચૂંટણી પહેલા નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાય તો ભાજપને સીધો જ ફાયદો થઇ શકે છે.એક તરફ ભાજપ ૧૫૦+ સીટનો ટાર્ગેટ સાથે મેદાને ઉતરી છે ત્યારે આ કાર્યક્રમ મહત્વનો સાબિત થશે.
Published On - 2:04 pm, Fri, 26 November 21