JAMNAGAR : ભારતીય નૌસેનાના અગ્રણી ઇલેક્ટ્રિકલ તાલીમ સ્થાપત્ય ભારતીય નેવલ જહાજ (INS) વાલસુરા ખાતે ખૂબ જ ગૌરવ અને દેશભક્તિની ભાવના સાથે 75મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. INS વાલસુરાના કમાન્ડિંગ ઓફિસર કોમોડોર ગૌતમ મારવાહા, VSMએ દેશના રક્ષણ માટે પોતાના જીવનું બલિદાન આપનારા શહીદોના માનમાં યુદ્ધ સ્મારક ખાતે પુષ્પગુચ્છ અર્પણ કરીને તેમને શ્રદ્ધાંજલી આપી હતી અને બાદમાં પ્રાસંગિક પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું.
એક હજાર કરતા વધારે વાલસુરિયને આ પરેડમાં ભાગ લીધો હતો, અને મહિલાઓ, બાળકો તેમજ તેમના અન્ય પરિવારજનો સહિત સંખ્યાબંધ લોકો આ પરેડના સાક્ષી બન્યા હતા. કમાન્ડિંગ ઓફિસરે તેમના સંબોધન દરમિયાન, ભારતની સ્વતંત્રતા માટે બલિદાન આપનારા શહીદો અને સ્વતંત્રતા સેનાનીઓના પ્રયાસો પર પ્રકાશ પાડ્યો હતો અને રાષ્ટ્રને વધુ મજબૂત બનાવવા માટે આવા જ પ્રયાસો કરવાનો યુવા પેઢીને અનુરોધ કર્યો હતો.
પરેડ ઉપરાંત, 75મા સ્વતંત્રતા દિવસે યાદગાર બનાવવા માટે અહીં 75 કિમીની દોડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પસંદ કરવામાં આવેલા વાલસુરિયને ભાગ લીધો હતો.
Published On - 5:40 pm, Mon, 16 August 21