કોરોનાએ સમજાવ્યું ઓક્સિજનનું મહત્વ : ભારે ડિમાન્ડમાં છે 24 કલાક ઓક્સિજન આપતા આ પ્લાન્ટસ
સુરતમાં મનપા સંચાલિત સુમન નર્સરી અને ખાનગી મળીને 50 જેટલી નર્સરી આવેલી છે. વિવિધ નર્સરીમાં 24 કલાક ઓક્સિજન આપતા પ્લાન્ટસની માંગ ઉઠી છે.
કોરોનાની મહામારીમાં આપણ સૌએ જોયું હતું કે ઓક્સિજનની ભારે અછતે દર્દીઓની હાલત બગાડી દીધી હતી. બીજી લહેરમાં દર્દીઓના પરિવારજનોએ દવા, ઇન્જેક્શન, અને ઓક્સિજન માટે ભટકવું પડતું હતું. એમ કહીએ કે ઓક્સિજનની સર્જાયેલી અછતે આપણને આ પ્રાણવાયુનું મહત્વ સમજાવ્યું છે.
સુરતમાં વિવિધ નર્સરીમાં 24 કલાક ઓક્સિજન આપતા પ્લાન્ટસની માંગ ઉઠી છે. સુરતમાં મનપા સંચાલિત સુમન નર્સરી અને ખાનગી મળીને 50 જેટલી નર્સરી આવેલી છે. ઓક્સિજન આપતા પ્લાન્ટસમાં કુંવરપાઠું, સ્નેક પ્લાન્ટ્સ, અરેકા પામ, લીમડો, મનીપ્લાન્ટ જેવા છોડની માંગમાં 30 ટકાનો વધારો થયો છે.
સુરતના કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ભક્તિ પંચાલ કહે છે કે 24 કલાક ઓક્સિજન આપતા પ્લાન્ટસને વૈજ્ઞાનિક ભાષામાં કેસુલેશિયન એસિડ મેટાબોલિઝમ એટલે કે CAM કહેવાય છે. સામાન્ય રીતે વૃક્ષો સવારે ઓક્સિજન આપે છે અને કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરે છે. જ્યારે રાત્રે તેના કરતાં ઊલટું ઓક્સિજન ગ્રહણ કરીને કાર્બન ડાયોક્સાઇડ હવામાં છોડે છે. જોકે કેમ પ્લાન્ટ્સ 24 કલાક ઓક્સિજન આપે છે.
સુરતની પાલિકાની નર્સરી અને વિવિધ સ્થળે ચાલતી ખાનગી નર્સરીમાં આ કેમ પ્લાન્ટ મળી રહે છે. 20 થી 100 રૂપિયા સુધીની તેની કિંમત હોય છે. આ પ્લાન્ટસની કોઈ ખાસ કાળજી લેવી પડતી નથી. તે ગેલેરી કે બેડરૂમમાં આસાનીથી રાખી શકાય છે.
શહેરમાં પર્યાવરણ જાગૃતિ માટે લીમડો, ગુલમહોર, સહિતના વૃક્ષો વિનામૂલ્યે આપવામાં આવે છે. જેમાં અઠવા સુમન નર્સરી દ્વારા ચાલુ સીઝનમાં 8 હજાર રોપા વિનામૂલ્યે આપવામાં આવ્યા હતા. જાગૃત નાગરિકોને 24 કલાક ઓક્સિજન આપતા પ્લાન્ટ પુરા પાડ્યા છે.
આ પણ વાંચો: મેઘરાજાની બોલિંગ સામે સુરત પાલિકા ક્લીન બોલ્ડ, પહેલા જ વરસાદમાં શું થઇ હાલત જુઓ