તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે રાજ્યના કૃષિ,ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ વિભાગ અને તાપી જિલ્લા પ્રભારી મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષ સ્થાને રાજયમાં કેન્દ્ર સરકારની 8 વર્ષની ઉપલબ્ધિઓ ગરીબ કલ્યાણ, સેવા સુશાસન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પ્રભારી મંત્રી મુકેશ પટેલે કેન્દ્ર સરકારની યોજના ની ઉપલબ્ધિઓ અંગે જણાવ્યું હતું કે પીએમ મોદી સત્તામાં આવ્યા બાદ તેઓએ ગરીબોની ચિંતા કરી છે જેનો સીધો લાભ લાભાર્થીઓને મળે તે રીતે પ્રયાસો પણ કરવામાં આવ્યા છે. લોકોને તેઓએ જણાવ્યું છે કે આત્મનિર્ભર બનવું પડશે જેથી કોઈને સામે હાથ લંબાવવાનો વારો નહીં આવે. જેને આજે સામાન્ય લોકો અનુસરી પણ રહ્યા છે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે તાપી જિલ્લાના શહેરી વિસ્તારમાં આવાસ યોજના હેઠળ અસંખ્ય લોકોને આવરી લીધા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત 90 ટકા સિધ્ધિ હાંસલ કરવામાં આવી છે. જેમાં પણ 5050 જેટલા લાભાર્થીઓને આવાસનો લાભ મળ્યો છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળ 18.85 કરોડ ની રકમ કુલ 91,925 લાભાર્થીઓને તેમના ખાતામાં જમા થયા છે. 70 હજાર બહેનોને ઉજ્વલલા યોજના હેઠળ ગેસ કનેકશનમાં પણ 100 ટકા સિદ્ધિ મળી છે.
આ ઉપરાંત મનરેગા હેઠળ 69 તળાવ ઉંડા કરાયા,30 જેટલા રમતના મેદાનો તૈયાર કરવામાં આવ્યા છે. તેમને વધુ ઉમેરતા કહ્યું હતું કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સરકારની યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે પ્રયાસ કરનાર તાપી જિલ્લાના વહીવટી તંત્ર અને પદાધિકારીઓને પણ અભિનંદન આપ્યા હતા.
સ્વચ્છ ભારત મિશન હેઠળ સો ટકા સિધ્ધિ પ્રાપ્ત કરી છે.નલ સે જલ યોજના હેઠળ 2,12,319 લોકોના ઘરે પીવાના પાણી પહોંચ્યા છે. વન નેશન વન રેશન યોજના હેઠળ પરપ્રાંતના લોકોને રાશન મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આયુષમાન ભારત યોજના હેઠળ 2,31,000 લોકોને લાભ આપવામાં તાપી જિલ્લો અગ્રેસર છે. કોવિડ વેક્સિનેશનમાં સો ટકા સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે.
એસ.ટી.મોર્ચાના પ્રમુખ હર્ષદ વસાવાએ જણાવ્યું હતું કે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કેન્દ્ર સરકાર કરી રહી છે. ત્યારે સરકારનો મુખ્ય ઉદ્દેશ પ્રજાલક્ષી કલ્યાણકારી કાર્યો કરવાનો છે. ગરીબ સમાજ માટે સેવાકીય કામગીરી કરવાની છે. સરકારની યોજનાઓથી લાભાર્થીઓની પીડા દુર થઈ છે. રાજ્ય સરકારે આદિવાસી વિસ્તારમાં બજેટમાં જોગવાઈ કરી શિક્ષણમાં સુધારા કર્યા અને તેના દ્વારા સમાજના સારા નાગરિકો બને તે માટે સરાહનીય પ્રયાસ હાથ ધર્યો છે.સમસ્યાનું નિવારણ કરવાની સરકારે નેમ લીધી છે.