અમદાવાદમાં ચાલી રહેલું સફાઈ કામદારોનું આંદોલન મંગળવારે વધુ ઉગ્ર બની શકે છે. અમદાવાદ શહેર વાલ્મિકી એકતા સમિતિની બેઠકમાં નિર્ણય લેવાયો છે કે મંગળવારે મંજૂરી મળે કે ન મળે, દાણાપીઠ AMC ઓફિસ અને રિવર ફ્રન્ટહાઉસ પર ધરણા અને ઘેરાવ કરવામાં આવશે. મંગળવારે અન્ય વિભાગના કર્મચારીઓ પણ જોડાશે. જ્યાં સુધી માંગ નહીં સ્વીકારાય ત્યાં સુધી કચરો નહિ ઉપાડવામાં આવે. નોકર મંડળ સાથે ભારતીય મજદૂર સંઘે ટેકો જાહેર કર્યો છે. અને આવતીકાલે બોડકદેવ ઝોનલ ઓફિસ પર કાર્યક્રમ યથાવત્ રહેશે. સાથે જ આ સમિતિને ટેકો આપવા અન્ય એએમટીએસ, બીઆરટીએસ, હોસ્પિટલો સહિતના યુનિયનો પણ આગળ આવે તેવી શક્યતાઓ છે.
મહત્વનું છેકે સફાઈ કામદારોની હડતાળને પગલે પાંચમા દિવસે પણ શહેરમાં ઠેર ઠેર ગંદકીના ઢગ જોવા મળ્યા હતા. જેના કારણે સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રિલીફ રોડ, બોડકદેવ, ભૂયંગદેવ, વેજલપુર, જમાલપુર સહિત પશ્ચિમ વિસ્તારોમાં ગંદકી જોવા મળી હતી.