સુરત (Surat )શહેરમાંથી પસાર થતી ખાડીઓ(Creek ) પૈકી છેલ્લા ત્રણ દિવસથી મીઠી ખાડી ઓવર ફ્લો થતાં વહીવટી તંત્ર (SMC) દ્વારા એક સાથે અનેક મોરચે સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી. એક તરફ ખાડીના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળતાં ડિ-વોટરિંગ દ્વારા પાણી બહાર કાઢવાની સાથે સાથે જ્યાં જ્યાં પાણી ઓસરી રહ્યા છે ત્યાં ત્યાં આજે સવારથી જ યુદ્ધસ્તરે સફાઈ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
લિંબાયત ઝોન વિસ્તારમાં ખાડીપુરને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આજે સતત ત્રીજા દિવસે નીચાણવાળા વિસ્તારો પૈકી કેટલાક વિસ્તારોમાં પાણીનું સ્તર ઘટતાં જ લિંબાયત ઝોન દ્વારા અલગ – અલગ ટીમો દ્વારા સફાઈ અભિયાન સાથે દવા છંટકાવની કામગીરી હાથ ધરી હતી.
આ સંદર્ભે લિંબાયત ઝોન દ્વારા અગાઉથી જ શહેર કતારગામ, રાંદેર, અઠવા, ઉધના અને સેન્ટ્રલ ઝોનમાંથી 200થી વધુ બેલદારો સહિત 20 જેટલા સુપરવાઈઝરોની ટીમો તૈનાત કરી દેવામાં આવી હતી. આ ટીમો દ્વારા ઋષિ વિહાર, માધવ પાર્ક, મીડલ રિંગરોડ, ઝોન ઓફિસ રોડ, કબુતર સર્કલ, શીતળા માતા થી ગોવિંદ નગર, મંગલ પારક સોસાયટી, અંબાનગર, રાવનગર, કાંતિ નગર સહિત આંતરિક રસ્તાઓ અને ગલીઓમાં ખાડીપુરને કારણે એકઠા થયેલા કચરાના ઢગલા દુર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
આરોગ્ય વિભાગના કહેવા પ્રમાણે ખાડી પૂર બાદ કોઈપણ જાતનો મચ્છરજન્ય રોગચાળો ન વકરે તેના માટે અમારી ટિમ સતર્ક છે, અને એટલા માટે જ 200 કરતા વધુ હેલ્થ વર્કર્સને સાથે રાખીને અમે સાફ સફાઈ પર હવે ધ્યાન આપી રહ્યા છે. જે જે વિસ્તારોમાં પાણી ઉતરતા જશે તે તે વિસ્તારોમાં સાફ સફાઈ ઉપરાંત જંતુનાશક દવાઓનો છંટકાવ શરૂ કરી દેવામાં આવશે. આ માટે આરોગ્ય વિભાગની અલગ અલગ ટિમ બનાવી દેવામાં આવી છે, જે અસરગ્રસ્ત વિસ્તારોમાં સફાઈ કામગીરી યુદ્ધ ના ધોરણે હાથ ધરશે.