Surat : ગણપતિ બાપ્પાની ભવ્યાતિભવ્ય આગમન યાત્રામાં જોડાયા હજારો ગણેશ ભક્તો
સુરતના (Surat ) લોકોમાં પણ કોરોના પછી આ વર્ષે ગણપતિ બાપ્પાને વધાવવા માટે સૌથી વધારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
જન્માષ્ટમીની ઉજવણીની સાથે સાથે તહેવારોની હારમાળા શરૂ થઈ જાય છે. ત્યારે આગામી તારીખ 31 ઓગસ્ટથી શરૂ થનારા ગણપતિ મહોત્સવનો માહોલ પણ શહેરભરમાં અત્યારથી જ જામવા લાગ્યો છે. એકતરફ મૂર્તિકારોએ ગણપતિ બાપ્પાની પ્રતિમાને આખરી ઓપ આપી દીધો છે, ત્યારે સુરતમાં ગણપતિ બાપ્પાની આગમન યાત્રા પણ કાઢવામાં આવી રહી છે.
સુરતમાં આવી જ એક આગમન યાત્રા અડાજણના એક ગણેશ મંડળ દ્વારા કાઢવામાં આવી હતી. અડાજણ વિસ્તારમાં છેલ્લા 15 વર્ષ કરતા પણ વધુ સમયથી ગણપતિની સ્થાપના કરતા આવતા આ ગ્રુપ સુરતના મોટા ગણેશ મંડળો પૈકીનું એક છે. બુધવારે મોડી સાંજે આ ગ્રુપ દ્વારા ગણપતિ બાપ્પાની વિશાળ આગમન યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા હતા.
રંગબેરંગી લાઈટો અને ડીજેના તાલ સાથે બાપ્પાને આવકારવા માટે મુંબઈથી પણ કલાકારોને બોલાવવામાં આવ્યા હતા. હિન્દુસ્તાની ભાઉ તરીકે પ્રખ્યાત બનેલા કલાકાર અને કમાન્ડો માસ્ટર શીફૂજી શૌર્ય ભારદ્વાજ નામના કલાકારો પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
ગણપતિ મંડળના આયોજક રવિ ફાઇટરનું કહેવું હતું કે કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી ગણપતિ બાપ્પાનો આ તહેવાર એટલા સારી રીતે ઉજવાઈ નહોતો શક્યો. છેલ્લા બે વર્ષથી અમે સાદાઈ થી ગણપતિની સ્થાપના કરી હતી. પણ આ વખતે અમે કોઈ કચાશ બાકી રાખતા માંગતા નથી, અને ગણપતિની આગમન યાત્રા પરથી જ તમે તેનો અંદાજો લગાવી શકો છો.
ગણપતિના 10 દિવસ સુધી અમારા દ્વારા વિવિધ સેવાકીય કર્યો પણ કરવામાં આવશે, અને અલગ થીમ પર જ આ વર્ષે અમે ગણપતિ બાપ્પાની સ્થાપના પણ કરવા જઈ રહ્યા છે. સુરતના લોકોમાં પણ કોરોના પછી આ વર્ષે ગણપતિ બાપ્પાને વધાવવા માટે સૌથી વધારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
અડાજણ અને મોટા મંદિર ગણેશ મંડળ દ્વારા પણ આવનારા દિવસોમાં ભવ્યાતિભવ્ય આગમન યાત્રા કાઢવાનું આયોજન અત્યારથી જ કરવામાં આવી રહ્યું છે. આમ, આ વર્ષે ગણપતિ આયોજનને લઈને પણ ગણેશ આયોજકની સાથે ભક્તોમાં અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો છે.
જુઓ વિડીયો :