માંગરોળ(Mangrol) તાલુકાના વાંકલ ગામે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત પૂર્વ કેબિનેટ મંત્રી ગણપત વસાવાની (Ganpat Vasava) હાજરીમાં એક વિશાળ ત્રિરંગા (Tiranga ) રેલી કાઢવામાં આવી હતી. કેન્દ્ર અને રાજ્ય સરકારે આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે ત્રિરંગા અભિયાન શરૂ કર્યું છે. સમગ્ર દેશવાસીઓ આનંદ ઉલ્લાસ સાથે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી ખૂબ જ આનંદ ઉત્સાહ સાથે કરી રહ્યા છે, ત્યારે વાંકલ ગામે ભવ્ય ત્રિરંગા રેલી એન ડી દેસાઈ હાઈસ્કૂલ ખાતેથી યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા.
રેલીમાં એક કિલો મીટર લાંબા તિરંગો આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. દેશભક્તિના નારા સાથે તિરંગા રેલી વાંકલ બજારે આવી પહોંચી હતી. આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી ગણપત વસાવા એ રેલીને સંબોધન કરતા જણાવ્યું કે મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, વીર ભગતસિંહ, ઝાંસીની રાણી સહિત અનેક દેશ ભક્તોએ કોઈપણ જાતના સ્વાર્થ વિના પોતાના પ્રાણની આહુતિ આપીને આ દેશને મહામૂલી આઝાદી અપાવી છે. આઝાદીનો અમૃત મહોત્સવ યોજવા પાછળનું એ જ મુખ્ય કારણ એ છે કે નવી પેઢી જે આવતીકાલનું ભારત છે, તે મહામૂલી આઝાદી અને સંસ્કૃતિનું મહત્વ સમજે જાણે અને તેને ભૂલે નહીં.
ઉમરપાડા તાલુકાના ખોટા રામપુરા ગામથી આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે પૂર્વક કેબિનેટ મંત્રી ગણપત વસાવાની ઉપસ્થિતિમાં 75 બળદગાડા સાથે ત્રિરંગા યાત્રા યોજાઈ હતી. આ યાત્રા ખોટારામપુરાથી શરૂ થઈ ડોગરીપાડા, કોલવણ, ગુલી ઉંમર સુધી યોજાઈ હતી. આ યાત્રામાં 75 બળદ-ગાડા સાથે ઉમરપાડા તાલુકાના ગામોના લોકો મોટી સંખ્યામાં હાથમાં ત્રિરંગો લઈ જોડાયા હતા અને આ યાત્રાના રુટમાં આવતા તમામ ગામના લોકો તરફથી ઉત્સાહ ભેર યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અને દરેક ગામોમાં ઘરે ઘરે ત્રિરંગો લગાવવામાં આવ્યો હતો.