સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી (CM) શહેરી વિકાસ યોજના અંતર્ગત શહેરી સડક યોજના માટે સુરત મહાનગરપાલિકાને (SMC) 90 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય રાજ્ય(State ) સરકારે કર્યો છે. ગત વર્ષે આ યોજના હેઠળ રસ્તાની કામગીરી માટે 60 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મનપાને ફાળવવામાં આવી હતી.જોકે ગયા વર્ષની તુલનામાં સરકારે આ વર્ષે સુરતને 30 કરોડ રૂપિયાની વધુ ગ્રાન્ટ ઉપલબ્ધ કરાવી છે.
સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રસ્તાની કામગીરી માટે સરકારે 90 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવણીનો નિર્ણય કર્યો હોવાથી હવે સુરત મહાનગરપાલિકા દ્વારા આ ગ્રાન્ટમાંથી રીપેર કરવા લાયક રસ્તાની કામગીરી અંગેની યાદી સરકારને આગામી દિવસોમાં મોકલવામાં આવશે. આરડીડી વિભાગ દ્વારા તમામ ઝોનોને ઝોન વિસ્તારમાં ક્યાં રસ્તાઓ બનાવવા જરૂરી જાણી રહ્યું છે, તેમજ કયા રસ્તાઓને સૌથી વધારે રિપેરની જરૂર છે તેની યાદી મગાવવામાં આવશે.
નોંધનીય છે કે, ચાલુ સાલે ભારે વરસાદને કારણે શહેરમાં રસ્તા મોટી સંખ્યામાં જર્જરિત થઇ ગયા છે. જેના કારણે શાસકો અને વહીવટીતંત્ર પર ભારે માછલાં ધોવાયા છે. તંત્ર દ્વારા ચાલુ વરસાદે જર્જરિત રસ્તાઓ પર પેચવર્ક કરી શહેરીજનોનો રોષ શાંત કરવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ આમ છતાં, રસ્તા હજુ સંપૂર્ણ યોગ્ય બન્યા નથી તે વાસ્તવિક્તા છે. ચોમાસા બાદ શહેરમાં મોટા પ્રમાણમાં રસ્તાઓ સંપૂર્ણ રીતે બનાવવાની મનપાને ફરજ પડશે. સરકાર દ્વારા સુરત સહિત દરેક મનપાઓમાં રસ્તાઓની કામગીરી માટે આ વખતે ગત વર્ષની તુલનામાં વધુ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.
કોર્પોરેશન દ્વારા થોડા દિવસો પહેલા જ એક પત્રકાર પરિષદ કરીને રસ્તાઓ રીપેર કરવા માટે ખાતરી આપવામાં આવી હતી. અને જણાવવામાં આવ્યું હતું કે માત્ર ત્રણ દિવસમાં જ રસ્તાઓ રીપેર કરી દેવામાં આવશે. જોકે આ રસ્તાઓ રીપેર કર્યા બાદ ફરી વરસાદી ઝાપટા આવી જતા મોટા ભાગના રસ્તાઓ ફરીથી જૈસે થે વૈસે ની સ્થિતિમાં આવી ગયા હતા. પરંતુ હવે સરકારે ગ્રાન્ટ ઉપલબ્ધ કરવાનો નિર્ણય કરતા આગામી દિવસોમાં આ કાર્યવાહી ઝડપથી હાથ ધરાશે તેવું કોર્પોરેશનના સૂત્રોએ જણાવ્યું છે.