સુરતના વકીલ(Advocate ) મેહુલ બોધરા ઉપર થયેલા હુમલાના બીજા જ દિવસે પોલીસે (Police )સાજન ભરવાડની ધરપકડ કરી લીધી હતી. સાજન ભરવાડને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. રિમાન્ડના સમય અનુસાર બપોરે ત્રણ વાગ્યાના અરસામાં સાજનને ફરીવાર કોર્ટમાં રજૂ કરવામાનો હતો. જો કે બુધવારની વકીલોની રેલી બાદ માહોલ ગરમાયો હતો. સ્થિતિ વણસે એવી ભિતીને જોતા અગમચેતીના પગલાં રૂપે પોલીસે સાજન ભરવાડને વહેલી સવારે જ કોર્ટમાં રજુ કરી દીધો હતો. સુરત પોલીસે વધું રિમાન્ડ નહીં માંગતા કોર્ટે તેને જ્યૂડિશ્યિલ કસ્ટડીમાં મોકલી આપવા હુકમ કર્યો હતો.
અગાઉ સાજનને કોર્ટમાં રજૂ કરાયો હતો ત્યારે અહીં સાજનની ઉપર ટપલીદાવ પણ થઇ ગયો હતો. કોર્ટમાં પોલીસે સાજન ભરવાડના સાત દિવસના રિમાન્ડ માંગ્યા હતા. કોર્ટમાં સરકારી વકીલ અને સાજન ભરવાડના વકીલની દલીલો બાદ કોર્ટે સાજન ભરવાડના 5 દિવસના રિમાન્ડ આપ્યા હતા.
આજે ગુરુવારે સાજન ભરવાડના પાંચ દિવસના રિમાન્ડ પુરા થતાં તેને કોર્ટમાં રજુ કરવાનો હતો. સાજન ભરવાડને લાજપોર જેલભેગો કરી દેવાયો હતો.આ અગાઉ વકીલ ઉપર થયેલા હુમલાને લઇને બુધવારે સુરત જિલ્લા વકીલ મંડળે વિશાળ રેલી કાઢી હતી. કોર્ટથી રેલી આકારે વકીલો કલેક્ટર કચેરી પહોંચ્યા હતાં. કલેક્ટર કચેરીમાં સાજન ભરવાડ હાય હાય, વકીલ એકતા જીંદાબાદના નારા લાગ્યા હતા. ત્યારબાદ વકીલોએ પોલીસ કમિશનરને પણ આવેદનપત્ર આપીને તટસ્થ તપાસની માંગ કરી હતી.
અઠવાડિયા અગાઉ સરથાણા વિસ્તારમાં રહેતા વકીલ મેહુલ બોધરા ઉપર ટીઆરબી સુપરવાઇઝર સાજન ભરવાડે લાકડાના ફટકા વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલાના ઘેરાપ્રત્યાઘાત સુરત શહેર સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં પડ્યા છે, વકીલ ઉપર થયેલા હુમલાને સુરત જિલ્લા વકીલ મંડળ દ્વારા સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યું હતું.
વિરોધ નોંધાવવા માટે સુરત વકીલ મંડળ, સુરત સિટી બાર એસોસીએશનના વકીલો મળી અંદાજીત 500 થી વધુ સંખ્યામાં હાજર રહેલા વકીલોએ હાથ ઉપર કાળી પટ્ટી બાંધીને બપોરે અઢી વાગ્યે વિશાળ સંખ્યામાં કોર્ટ કેમ્પસથી લઇને કલેક્ટર કચેરી સુધીની રેલી કાઢી હતી.
રેલી દરમિયાન વકીલ એકતા જીંદાબાદ, સાજન ભરવાડ હાય હાયના નારા લગાવાયા હતા. આ રેલી કલેક્ટર કચેરીએ પહોંચી ત્યારે પણ સુરતના યુવા વકીલોએ સાજન ભરવાડના છાજીયા લીધા હતા અને તેની હાય હાય બોલાવી હતી, આ ઉપરાંત સરથાણા પોલીસ, એસીપી સી.કે. પટેલના નામની પણ હાય-હાય બોલાવવામાં આવી હતી.
ત્યારબાદ સુરત વકીલ મંડળના પ્રમુખ રમેશ કોરાટ, ઉપપ્રમુખ સંકેત દેસાઇ તેમજ સિનિયર ધારાશાસ્ત્રી જીવરાજભાઇ વસોયા સહિતના અન્ય હોદ્દેદારો મળ્યા હતા. આ ઉપરાંત સિટીબાર એસોસીએસનના નિલકંઠ બારોટ સહિત અન્ય હોદ્દેદારોએ સુરતના કલેક્ટરને રૂબરૂ મળીને આવેદનપત્ર આપ્યું હતું.
Published On - 12:24 pm, Thu, 25 August 22