Surat : કોરોના હોસ્પિટલોમાં સતત બનતી આગની ઘટનાઓને લીધે મહાનગરપાલિકાનું ફાયર વિભાગ સતર્ક થઇ ગયું છે. સમયાંતરે સતત મોકડ્રિલનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. હોસ્પિટલના સ્ટાફને પણ ફાયર અંગે જાણકારી અને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. આ વચ્ચે સુરત ફાયર વિભાગ ( surat Fire Department ) દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
હોસ્પિટલોમાં સર્વેને ચેકિંગની કામગીરી 25 એપ્રિલથી ચાલી રહી છે. અત્યાર સુધી 35 થી વધારે હોસ્પિટલમાં મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે. એક હજારથી વધુ તબીબો અને સ્ટાફને ફાયર સેફટી અંગે માહિતગાર કરીને ટ્રેનિંગ આપવામાં આવી હતી. તેમજ ફાયરસેફટીમાં ખામી જણાતા 50 જેટલી હોસ્પિટલોને નોટિસ પણ આપવામાં આવી હતી.
છેલ્લા 3 દિવસથી ફાયર સેફટી ન ધરાવનાર હોસ્પિટલ તેમજ કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં ચેકીંગ કરીને તેને સિલ મારવાની કામગીરી કરવામાં આવી રહી છે. 30 મેના રોજ 19 હોસ્પિટલ અને 1 કોમર્શિયલ કોમ્પ્લેક્ષ, 31 મેના રોજ 18 હોસ્પિટલ અને 1 કોમર્શિયલ કોમ્પ્લેક્ષ અને આજે વધુ 8 હોસ્પિટલને સિલ કરવાની કામગીરી કરવામાં આવી હતી.
આમ અત્યાર સુધી 45 જેટલી હોસ્પિટલને સિલ કરવામાં આવી છે. ચીફ ફાયર ઓફિસર બસંત પરીખના જણાવ્યા પ્રમાણે નોટિસ ફટકારવા છતાં જે હોસ્પિટલોએ ફાયર સેફટીના સાધનો કાર્યરત નથી કર્યા તેમજ જ્યાં ફાયર સેફટીના સાધનોનો અભાવ જોવા મળી રહ્યો છે તે હોસ્પિટલને સિલ કરાઈ રહી છે.
જોકે જ્યાં દર્દી દાખલ હોય તેટલો વોર્ડ ખુલ્લો રાખીને બાકીના વોર્ડ અને રિસેપશનને સિલ કરાયા છે. જો કે આ હોસ્પિટલો જ્યાં સુધી ફાયર સેફટી ઉભી ન કરે ત્યાં સુધી નવા દર્દીને એપોઈમેન્ટ કે દાખલ ન કરવાની સૂચના આપી છે.
નોંધનીય છે કે, અવારનવાર કોવીડ હોસ્પિટલમાં આગની ઘટના બનતી રહે છે. તે સમયે ફાયર સેફટીની સુવિધા ના હોવાને કારણે અનેક લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.