ઉકાઇ (Ukai ) ડેમના ઉપરવાસમાંથી આવતા પાણીની આવકમાં (Inflow ) સાવ ધરખમ ઘટાડો થતાં ડેમના તમામ દરવાજા (Gate ) બંધ કરી દેવાયા છે આ દરમિયાન ઉકાઈ ડેમમાં 28,975 ક્યુસેક પાણીની આવક થતા ડેમની જળ સપાટી 343.87 ફૂટ પર પહોંચી જવા પામી છે અને ડેમમાંથી કેનાલ અને બે હાઈડ્રો માટે 21,514 ક્યુસેક પાણી છોડવામાંઆવી રહ્યું છે. ઉકાઇ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે અને ઉકાઇ ડેમ તેની પૂર્ણ ક્ષમતા થી માત્ર સવા ફૂટ દૂર છે.
ચોમાસા ના આખરી દિવસોમાં ઉકાઇ ડેમને તેની પૂર્ણ ક્ષમતા 345 ફૂટ સુધી ભરી દેવાના ભાગરૂપે નવા પાણીની આવક પર ઘટાડો થતાં ડેમના દરવાજા બંધ કરીને ઉકાઇ ડેમના તંત્ર દ્વારા પાણીનો સંગ્રહ શરૂ કરી દેતા સપાટી 343.87 ફૂટે પહોંચી છે. ઉકાઇ ડેમના કેચમેન્ટ એરિયામાં વરસાદ થયો નથી.
આ ઉપરાંત ડેમના ઉપરવાસમાં આવેલા મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના વિસ્તારમાં આવેલા હથનુર ડેમમાં થી 16 હજાર કયુસેક પાણી અને પ્રકાશા ડેમમાંથી 3- હજાર કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેથી તેમને તેની પૂર્ણ ક્ષમતા સુધી ભરી લેવા ઉકાઇ ડેમના તંત્ર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. દરમિયાન ઉકાઇ ડેમમાંથી પાણી છોડવાનું બંધ કરી દેવાતા સુરત ખાતે કોઝવે ની જળ સપાટી માં ધરખમ ઘટાડો નોંધાયો છે.
કોઝવેની સપાટી સવારે 6.63 નોંધાઈ છે. સુરતના કતારગામ અને રાંદેર વિસ્તારને જોડતો કોઝવે હજી પણ ભયજનક સપાટીથી ઉપર વહેતા વાહન વ્યવહાર માટે બંધ રાખવામાં આવ્યો છે. પણ હવે ઉકાઈ માંથી ક્રમશઃ પાણી છોડવાનું ઓછું કરી દેવામાં આવતા કોઝવેની સપાટીમાં પણ ઘટાડો થશે. અને તે થયા બાદ ફરી એકવાર વિયર કમ કોઝવેને વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવશે તેવું સુરત મહાનગરપાલિકાના અધિકારીઓનું કહેવું છે.
નોંધનીય છે કે ગઈકાલથી સુરતમાં વાદળછાયું વાતાવરણ રહેતા ખેલૈયાઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. સવારે મધ્યમ વરસાદ પડ્યા બાદ બપોર પછી વરસાદે વિરામ લીધો હતો. જોકે ચોમાસાના આખરી દિવસોમાં વરસાદી રમઝટ રહેવાની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.