Surat: પ્રદુષણને કારણે ઉધના વિસ્તારના લોકો પરેશાન, ફરિયાદ કરીને થાક્યા પણ ‘જેસે થે’ની સ્થિતિ
સુરતના ઉધના રોડ નંબર 0 પર આવેલા ઔદ્યોગિક એકમોને કારણે અહીંના સ્થાનિકો અને દુકાનદારોના આરોગ્ય સામે જોખમ ઉભું થયું છે.
Surat: સુરતના ઉધના રેલવે સ્ટેશન પાસે આવેલા રોડ નંબર ઝીરોની આસપાસ રહેણાંક વિસ્તારો અને શોપિંગ મોલના દુકાનદારો હાલ પ્રદૂષણના કારણે ખુબ જ હેરાન થઈ રહ્યા છે. અહીં પ્રદુષણ એટલી હદે વધી ગયું છે કે અહીં રહેવું અને શ્વાસ લેવું પણ લોકો માટે મુશ્કેલ બની ગયું છે. રહેણાંક વિસ્તારમાં આવેલ ઔદ્યોગિક એકમો દૂર કરવા માટે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ આવી શક્યું નથી. જેના કારણે સ્થાનિકો હવે ફરિયાદ કરે તો કોને કરે તેવો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે.
ઉધના વિસ્તારમાં રોડ નંબર ઝીરો પર રહેણાંક વિસ્તાર અને શોપિંગ મોલ તેમજ નાની મોટી દુકાનો આવેલી છે પણ અહીં કેટલાક ઔદ્યોગિક એકમોને કારણે સ્થાનિકો પરેશાન થઈ ગયા છે. મીલોમાંથી નીકળતા પ્રદુષણ અને કાળા ધુમાડાના કારણે ઘરની દીવાલો પણ કાળી થઈ ગઈ છે. ઘરની ગેલેરી, અગાસી અને છત પર કોલસાની નાની રજકણો ઉડીને આવતા અહીં રહેતા સ્થાનિકોના આરોગ્ય સામે પણ સવાલો ઉભા થયા છે.
આ વિસ્તારના એક દુકાનદારનું કહેવું છે કે અહીં પહેલા આટલું પ્રદુષણ નહોતું પણ બે ચાર ઔદ્યોગિક એકમોને કારણે અહીં રહેવું ખુબ મુશ્કેલ થઈ ગયું છે. અહીં સવારથી સાંજ સુધી નોકરી ધંધો કરતા અને રહેનારા લોકોને શ્વાસ લેવું પણ મુશ્કેલ થઈ ગયું છે. ઘણીવાર રાત્રી દરમ્યાન પણ પ્રદૂષણના કારણે તેઓ ગૂંગળામણ અનુભવે છે. ચંપલ વગર જો ફરીએ તો પગ પણ કાળા થઈ જાય છે અને કપડાં સૂકવવા મૂકીએ તો તેના પર પણ કાળા પ્રદૂષણના ધબ્બા પડી જાય છે.
આ અંગે અવારનવાર સ્થાનિક આગેવાનો અને જીપીસીબીને પણ રજુઆત કરવામાં આવી છે પણ આજ દિન સુધી તેનું નિરાકરણ આવી શક્યું નથી. જીપીસીબીના અધિકારીઓ પણ ફરિયાદ સાંભળીને આંખ આડા કાન કરી રહ્યા છે. અહીં રહેતા લોકોના આરોગ્ય સામે પણ જોખમ ઉભું થયું છે. આ ઔદ્યોગિક એકમોને દૂર કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. જો તે નહીં કરવામાં આવે તો આ વિસ્તારમાં બીજા આવા એકમો પણ પગપેસારો કરશે અને લોકોનું આરોગ્ય જોખમાશે.
આ પણ વાંચો : Surat : શેરી શિક્ષણને છૂટ, તો ખાનગી શાળાને મનાઈ કેમ ? : સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ
આ પણ વાંચો: Surat : પાર્કિંગમાં કારની અડફેટે માસુમનું મોત, માસુમની આંખોનું દાન કરાયું