દેશની પ્રતિષ્ઠિત એરલાઈન્સ (airlines) કંપનીઓ પૈકીની એર વિસ્તારા દ્વારા વહેલી તકે સુરત (Surat) થી હવાઈ સેવાનો પ્રારંભ કરવામાં આવશે. આ સંદર્ભે કંપની દ્વારા સુરત એરપોર્ટના વહીવટી તંત્ર પાસેથી જરૂરી પરવાનગી મેળવી લેવામાં આવી છે. એર વિસ્તારાના આગમનને પગલે હવે સુરતીઓને દેશના અન્ય શહેરો સાથે એર કનેક્ટિવીટી (Connectivity) ની સુવિધા નિશ્ચિતપણે ઉપલબ્ધ થશે. સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર હાલમાં જ સુરત એરપોર્ટ ખાતે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કામ પૂર્ણ થયા બાદ હવે પ્રીમિયમ એરલાઈન્સ કંપની એર વિસ્તારાને સુરત એરપોર્ટ ખાતેથી ઓપરેશન માટે જરૂરી સ્લોટની ફાળવણી કરવામાં આવી છે. આ ઔપચારિકતા પૂર્ણ થયા બાદ વહેલી તકે એર વિસ્તારા દ્વારા પ્રારંભમાં નવી દિલ્હી – સુરત વચ્ચેની હવાઈ સેવાનો પ્રારંભ કરવામાં આવશે અને ત્યારબાદ દેશના અન્ય શહેરોને સાંકળતી હવાઈ સેવાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ સંદર્ભે વધુ જાણકારી આપતાં વી વર્ક વર્કિંગ એરપોર્ટ ગ્રુપના સંજય જૈન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, હાલમાં જ સુરત એરપોર્ટ ખાતેથી 20 ડોમેસ્ટિક ફ્લાઈટ ઓપરેટ કરવામાં આવી રહી છે જ્યારે શારજહાં માટેની એક ઈન્ટરનેશનલ ફ્લાઈટની સુવિધા ઉપલબ્ધ છે. જ્યારે રાજ્યના અમદાવાદ – રાજકોટ સહિતના શહેરોને સાંકળતી ઈન્ટરસિટી ફ્લાઈટ બાદ હવે એર વિસ્તારા દ્વારા સુરત એરપોર્ટ ખાતેથી ફ્લાઈટ ઓપરેટ કરવામાં આવતાં સુરતીઓને સૌથી વધુ લાભ થશે. રાજ્યના આર્થિક પાટનગર સુરત શહેરને દેશના અન્ય શહેરો સાથે મહત્તમ સંખ્યામાં એર કનેક્ટિવટી મળી રહે તે માટે એર વિસ્તારા મહત્વનો ભાગ ભજવી શકે તેમ છે.
વિકાસની હરણફાળ ભરી રહેલા સુરત એરપોર્ટ ખાતેથી વધુમાં વધુ એરલાઈન્સ દ્વારા હવાઈ યાત્રાની સુવિધા ઉપલબ્ધ થાય તે માટે શહેરના વી વર્ક વર્કિંગ એરપોર્ટ ગ્રુપ દ્વારા સતત પ્રયાસો હાથ ધવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે જ સુરત એરપોર્ટ ખાતેથી દેશની પ્રીમિયમ ગણાતી એરલાઈન્સ એર વિસ્તારાની સુવિધા મળી રહે તે માટે સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. છેલ્લા ત્રણ વર્ષથી ગ્રુપના સભ્યો દ્વારા કંપનીના અધિકારીઓ સાથે બેઠકો પણ હાથ ધરવામાં આવી હતી અને કંપની સાથે સતત સંપર્કમાં રહ્યા બાદ અંતે હવે આ એરલાઈન્સ દ્વારા સુરતથી પોતાની સુવિધાનો પ્રારંભ કરતાં ગ્રુપના સભ્યો દ્વારા પણ આનંદની લાગણી વ્યક્ત કરવામાં આવી છે.
એર વિસ્તારાના સુરત આગમન બાદ સુરત એરપોર્ટ ખાતે હાલના તબક્કે નવી દિલ્હીની હવાઈ સેવાનો પ્રારંભ કરવામાં આવશે અને ત્યારબાદ સંભવતઃ બેંગ્લોર સહિતના શહેરોને સાંકળતી ડોમેસ્ટિક ફ્લાઈટની સુવિધા પણ મળી શકે છે. જો કે, ડાયમંડ બુર્સના પ્રારંભને પગલે કંપની દ્વારા સંભવતઃ સુરત એરપોર્ટથી દુબઈ માટેની આંતરરાષ્ટ્રીય ફ્લાઈટનો પ્રારંભ કરવામાં આવે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ સુરતથી એકમાત્ર શાહજહાંની ફ્લાઈટની સુવિધા જ ઉપલબ્ધ છે ત્યારે હવે સુરત એરપોર્ટ માટે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટના દરવાજા મોકળા થાય તેવી પ્રબળ શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે.
ડાયમંડ – ટેક્સટાઈલ અને હજીરામાં વિશાળ ઔદ્યોગિક એકમો ધરાવતા સુરતમાં હાલ એરપોર્ટ ખાતેથી માત્ર 20 ફ્લાઈટની જ સુવિધા ઉપલબ્ધ છે. એક તબક્કે કોરોના મહામારી પૂર્વે આ આંકડો 26 પર પહોંચ્યો હતો. જે વધવાને બદલે હાલ ઘટી ગયો છે. અલબત્ત હવે એરપોર્ટ ખાતે ઈન્ફ્રાસ્ટ્રક્ચરની કામગીરી પૂર્ણ થયા બાદ અને એર વિસ્તારાના આગમનને પગલે ફ્લાઈટ અને એર કનેક્ટિવીટીની સંખ્યામાં પણ વધારો થશે તેમાં કોઈ બેમત નથી.
Published On - 3:23 pm, Sat, 28 May 22