સુરત મહાનગરપાલિકા (SMC) ની છેલ્લી સામાન્ય સભા પૂર્ણ થયા બાદ વિપક્ષ ‘આપ’ દ્વારા સભાના અધ્યક્ષ એવા મેયરની (mayor ) મંજૂરી વિના સભાગૃહમાં ધરણાં પર બેઠાં હતાં અને રાતવાસો કર્યો હતો. આ પ્રકરણમાં બીજે દિવસે સિક્યુરિટી-પોલીસની મદદથી આપના કાર્યકરોને ગૃહની બહાર કઢાયા હતા. સમગ્ર ઘટનામાં મેયરે ત્રણ દિવસમાં વિવિધ ત્રણ મુદ્દા પર વિસ્તૃત રીપોર્ટ રજૂ કરવા મનપા કમિશનર સમક્ષ નોંધ રજૂ કરી હતી અને જવાબદાર સામે પગલાં ભરવા મનપા કમિશનરને તાકીદ કરી હતી.
જોકે, મેયર દ્વારા રજૂ કરાયેલ નોંધમાં નિર્દિષ્ટ ત્રણ દિવસોની સમયમર્યાદા પૂર્ણ થઇ ગઇ છે. સાત દિવસ પૂર્ણ થવા છતાં મેયરને 30 એપ્રિલના રોજ સાંજે 7.05 કલાકથી 1 મે, 2022 રોજ બપોરે 3.15 કલાક સુધીના સમયગાળા દરમિયાન સરદારખંડમાં બનેલી તમામ ઘટનાઓ, સામાન્યસભા પૂર્ણ થયા બાદ બીજે દિવસે સાંજ સુધી મનપાની કચેરીમાં પ્રવેશ મેળવનાર વ્યક્તિઓની યાદી, કોની મંજૂરીથી પ્રવેશ અપાયો હતો? વગેરે અંગેની વિસ્તૃત વિગતો સાથેનો રીપોર્ટ મનપા કમિશનર દ્વારા રજૂ કરાયો નથી.
આ અંગે મેયરે મનપા કમિશનરને પત્ર પાઠવી નારાજગી વ્યક્ત કરી છે અને 7 દિવસનો સમય થયો હોવા છતાં માગેલ માહિતીનો રીપોર્ટ મળ્યો નથી તેવી સ્પષ્ટતા કરી છે. સાથે જ આ અંગે જવાબદાર અધિકારી સામે શિક્ષાત્મક કાર્યવાહી કરી, કરેલ કાર્યવાહીની જાણ કરવા ઉપરાંત ફરી એકવાર આખો રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે. પ્રવેશ દ્વારથી પાસ સાથે કે પાસ વગર કોને કોને પ્રવેશ આપવામાં આવ્યો, પાલિકાના સ્ટાફ સિવાય કઈ કઈ વ્યક્તિ તે સમયે પરિસરમાં હાજર હતી તે તમામ બાબતનો ઝીણવટભર્યો રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે.
પહેલી મે ના રોજ જયારે સામાન્ય સભા પૂર્ણ થયા બાદ રાતવાસો કરનાર આપના નગરસેવકોને ટિંગા ટોળી કરીને બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં ઘનશ્યામ મકવાણાનું ગણું દાબવામાં આવ્યું હતું. એટલું જ નહીં મહિલા નગરસેવક કુંદન કોઠિયાના કપડાં પણ ફાડી નાંખવામાં આવ્યા હતા. જોકે આ મામલે હજી સુધી પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં આવી નથી.
Published On - 5:17 pm, Tue, 10 May 22