Surat: આસામમાં થોડા દિવસ અગાઉ ડોક્ટર ઉપર હુમલા (Attack on Doctors)ની ઘટના સામે આવી હતી. તેમજ અવાર નવાર પણ ડોક્ટરો અને આરોગ્ય કર્મીઓ ઉપર હુમલાના બનાવો બનતા હોય છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઈન્ડીયન મેડીકલ એસોસિએશન (IMA)દ્વારા ‘Save The Saviors’ના નારા સાથે રાષ્ટ્રવ્યાપી વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે.
આ મુદ્દાને લઈને શહેરમાં આજે આઈએમએ દ્વારા નવી સિવિલ હોસ્પિટલ સહિત જુદા જુદા સ્થળે બેનરો સાથે સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને સખત કાયદો લાવવાની માંગણી કરવામાં આવી હતી. ડોકટર પર થતાં હુમલા સામે આજે શહેરમાં આઈએમએના બેનર હેઠળ નવી સિવિલ હોસ્પિટલ, સ્મીમેર હોસ્પિટલ સહિત અલગ અલગ ખાનગી હોસ્પિટલમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
તેમજ સિનિયર ડોકટરો પર થતાં હુમલા બંધ કરો સહિતના સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને ડોક્ટરો દ્વારા કાળી પટ્ટી બાંધીને પોતાની સેવા પણ ચાલુ રાખવામાં આવી હતી. આઈએમએની વડી શાખાના આદેશ અનુસાર તમામ રાષ્ટ્રવ્યાપી શાખાઓ દ્વારા આરોગ્ય કર્મીઓ પર થતાં હુમલાઓ સામે આજે ‘Save The Saviors’ના નારા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
વધુમાં આઈએમએ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આરોગ્ય કર્મીઓની સલામતી સુનિશ્ચિત કરવી એ રાજ્ય અને કેન્દ્ર સરકારની જવાબદારી છે. ડોક્ટર અને નર્સ પર થતાં હુમલાઓ સામે સખત અને તેના ત્વરિત અમલીકરણ માટેની માંગણી કરવામાં આવી હતી.
આ પણ વાંચો: Mumbai : 390 લોકોને કથિત નકલી રસી આપવાના કેસમાં ચાર લોકોની ધરપકડ, એકની મધ્ય પ્રદેશથી ધરપકડ