Surat Education News: એકતરફ શાળાઓમાં શૈક્ષણિક (Educational Work) કાર્ય શરૂ કરવાની વાતો ચાલી રહી છે તો બીજી તરફ શિક્ષકો (Teacher) લડતના માર્ગે ચાલી રહ્યા છે. શિક્ષકો દ્વારા પોતાના પડતર પ્રશ્નો બાબતે કલેકટર(Surat Collector) અને જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ રજૂઆતો કરવામાં આવી છે. સુરત શહેર જિલ્લા અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંઘ, સુરત શહેર માધ્યમિક શિક્ષણ સંઘ તેમજ સુરત જિલ્લા માધ્યમિક શિક્ષણ સંઘના સંયુક્ત ઉપક્રમે અનુદાનિત શાળાના શિક્ષકોના પડતર પ્રશ્નોનાં ઉકેલ માટે કલેકટર અને જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને આંદોલનની ચીમકી ઉચ્ચારવામા આવી છે.
કોરોના સમય પછી શાળાઓ બંધ રહેતા શિક્ષકોને ઘણા પડતર પ્રશ્નો ઉભા થયા હતા જેનું આજદિન સુધી નિરાકરણ આવી શક્યું નથી. જિલ્લા શિક્ષણ અધિકારી અને કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં આ પડતર પ્રશ્નોનો ઉલ્લેખ કરીને તેનું નિરાકરણ કરી આપવા રજુઆત કરવામાં આવી છે.
જે પ્રશ્નો દર્શાવવામાં આવ્યા છે તેમાં..
1). પાંચ વર્ષની ફિક્સ પગારની નોકરી તમામ હેતુઓ સાથે સળંગ ગણવી
2).સાતમા પગારપંચ ના એરિયર્સના બાકી હપ્તા રોકડમાં ચૂકવવા,
3). બિનશરતી ફાજલના કાયમી રક્ષણના પરિપત્રમાં રહેલી વિસંગતતાઓ દૂર કરવી,
4). સીપીએફ યોજના અને વર્ધિત પેંશન યોજના નાબૂદ કરી જીપીએફ યોજના અને જૂની પેંશન યોજનાનો અમલ કરવો.
શિક્ષકોએ જણાવ્યું હતું કે આ પહેલા 1લી માર્ચ 2019થી લેવાનાર એચ.એસ.સી. અને એસ.એસ.સી. પરીક્ષાની તમામ કામગીરીનો બહિષ્કાર કરવાની ચીમકી તેમને અગાઉ આપી હતી. તે સમયે સરકાર તરફથી તેમના પ્રશ્નોનો નિકાલ લાવવામાં આવશે તેવી બાંહેધરી આપવામાં આવી હતી. પરંતુ આ સમાધાન બાદ પણ તેમના પ્રશ્નોને સાંભળવામાં નહોતા આવ્યા.
આ સહિતના અન્ય પ્રશ્નો બાબતે અગાઉ પણ વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. જેથી શિક્ષક કર્મચારીઓમાં ઉગ્ર રોષ ની લાગણી જોવા મળી રહી છે. શિક્ષક સંઘના આગેવાનોએ જણાવ્યું છે કે જો હજી પણ આ મુદ્દે કોઈ નિરાકરણ ન આવે અને તેમની માંગણી સંતોષવામાં નહીં આવે તો આવનારા દિવસોએ આ મુદ્દે ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
Published On - 9:01 am, Wed, 21 July 21