Surat : અનવરનગરમાં બુલડોઝર ફર્યું, વૈકલ્પિક આવાસની બાંહેધરી મળતા લીંબાયતમાં ડિમોલિશન કામગીરીનો પ્રારંભ
શાસકો દ્વારા અસરગ્રસ્તોને ચોક્કસ ધારા - ધોરણ મુજબ વૈકલ્પિક આવાસની બાંહેધરી આપવામાં આવતાં આજે સવારથી કોઈપણ પ્રકારના વિરોધ વિના શાંતિપૂર્ણ રીતે ડિમોલીશનનો પ્રારંભ થયો હતો.
સુરત (Surat) શહેરના લિંબાયત વિસ્તારમાં અનવર આંબેડકરનગર ઝુંપડપટ્ટીના રહેવાસીઓ ને વૈકલ્પિક આવાસની બાંહેધરી આપ્યા બાદ આજે ડિમોલીશન (demolition) ની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. લાઈનદોરીના અમલ માટે લિંબાયત ઝોન દ્વારા ડિમોલીશનની નોટિસ પાઠવ્યા બાદ સ્થાનિકો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. જો કે, અસરગ્રસ્તોને આવાસ આપવાની બાંહેધરીને પગલે આજે નિર્વિઘ્ને ડિમોલીશનની શરૂઆત થઈ હતી.
લિંબાયત ઝોનમાં સમાવિષ્ટ આંજણા વિસ્તારમાં અનવર નગર અને આંબેડકર નગર ઝુંપડપત્તિમાં લાઇનદોરીના અમલ માટે જે તે સમયે સુરત મહાનગરપાલિકા (Surat Municipal Corporation) દ્વારા ડિમોલિશન સંદર્ભે મિલ્કતદારોને નોટિસ પાઠવવામાં આવી હતી. જોકે અસરગ્રસ્ત પરિવારજનો દ્વારા ડિમોલીશનને પગલે બેઘર થવાની ભીતિ વ્યક્ત કરવાની સાથે મહાનગર પાલિકાના વહીવટી તંત્ર સમક્ષ વૈકલ્પિક આવાસની માંગ સાથે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. લાઈન દોરીના અમલ માટે ડિમોલીશનની કામગીરી દરમ્યાન ભારે હોબાળો અને વિરોધની ભીતિ જોવા મળી હતી.
શું હતો વિવાદ ?
સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર સને 1985માં રિંગરોડ બનાવવા માટે સુરત મહાનગર પાલિકા દ્વારા જે તે સમયે અસરગ્રસ્ત પરિવારોને વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે લિંબાયત ખાતે આવેલ આંજણામાં પ્લોટની ફાળવણી કરી હતી. જેને અનવર નગર ઝુંપડપટ્ટી તરીકે ઓળખવામાં આવતું હતું. જોકે, હવે આ વિસ્તારમાં પણ લાઈન દોરીનો અમલ કરવામાં આવતાં 100 જેટલા પરિવારો રાતોરાત બેઘર બને તેવી સ્થિતિ ઉભી થતા વિવાદ વકર્યો હતો અને જેને પગલે અંતે શાસકો દ્વારા અસરગ્રસ્તોને ચોક્કસ ધારા – ધોરણ મુજબ વૈકલ્પિક આવાસની બાંહેધરી આપવામાં આવતાં આજે સવારથી કોઈપણ પ્રકારના વિરોધ વિના શાંતિપૂર્ણ રીતે ડિમોલીશનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત
લિંબાયતમાં ડુંભાલ પાણીની ટાંકી પાસે આવેલ અનવર નગરના ડિમોલીશનની કામગીરી દરમ્યાન કાંકરીચાળો થવાની ભીતિને ધ્યાનમાં રાખીને ઝોનના અધિકારીઓ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. મહાનગર પાલિકાના લિંબાયત ઝોન, ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સહિત સલાબતપુરા પોલીસ મથકના મોટી સંખ્યામાં જવાનોની ઉપસ્થિતિમાં આજે સવારથી જ અનવર નગરમાં અસરગ્રસ્ત મકાનોના ડિમોલીશનની કામગીરીનો પ્રારંભ થયો હતો. જો કે, બપોર સુધી મિલ્કતદારો દ્વારા ડિમોલીશનનની કામગીરીમાં સહયોગ સાંપડ્યો હતો અને કોઈપણ પ્રકારના વિરોધ વિના નિર્વિઘ્ને ડિમોલીશન કામગીરી હાથ ધરવામાં આવી હતી.