સુરત (Surat )ના સરથાણામાં રહેતા અને જાગૃત નાગરીક એવા એડવોકેટ (Advocate )મેહુલ બોધરાને ફેસબુક લાઇવ (Live )કરવાનું ભારે પડ્યું છે. પોલીસની હપ્તાવસૂલી અને ગુંડાગર્દીને ઉજાગર કરતા આ એડવોકેટને લસકાણા પોલીસ ચોકીથી માત્ર 50 મીટરના અંતરે જ ટીઆરબી જવાન સાજન ભરવાડે લાકડાના ફટકા વડે જીવલેણ હુમલો કર્યો હતો. મેહુલ બોધરા ઉપર હુમલો કરનાર સાજન ભરવાડ તેમજ અન્યની સામે સરથાણા પોલીસે ગુનો નોંધ્યો હતો અને સાજન ભરવાડની ધરપકડ કરી પણ સરથાણા પોલીસ દ્વારા TRB જવાન સામે માત્ર સામન્ય કલમો લગાવી હોવાથી મોડી સાંજના સમયે પાસ ના કન્વીનર સહિત વકીલ મંડળ દ્વારા સરથાણા પોલીસ સ્ટેશન નો ઘેરાવો કર્યો હતો અને સૂત્રોચ્ચાર કરતા આખરે સરથાણા પોલીસે 307 મુજબ ની કલમ ઉમેરી તપાસ શરૂ કરતાં મામલો થાળે પડ્યો હતો.
છેલ્લા દોઢ મહિનાથી સરથાણાના વિવિધ વિસ્તારમાં પ્રાઇવેટ રિક્ષામાં ટ્રાફિક પોલીસના માણસો, ટીઆરબી તેમજ પ્રાઇવેટ માણસો લોકોને ટ્રાફિકના નિયમોના નામે રિક્ષામાં બોલાવીને દંડ ઉઘરાવીને લોકોને ત્રાસ આપતા હોવાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. દરમિયાન દોઢ મહિના પહેલા એટલે કે તા. 10મી જૂલાઇ-2022ના રોજ મુળ અમરેલીના જાફરાબાદના પીછડીગામના વતની અને સુરતમાં યોગીચોક પાસે આંગન રેસીડેન્સીમાં રહેતા મેહુલકુમાર મનસુખભાઇ બોધરા કામરેજ તરફ જતા હતા. ત્યારે કેનાલ રોડ ઉપર સીમાડા પોલીસ ચોકી પાસે રિક્ષા નં. જીજે-5-બીડબ્લ્યુ-0399માં ઉઘરાણા થતા હોવાથી મેહુલ બોધરાએ પુછપરછ કરી હતી અને તેઓને ઉઘરાણા નહીં કરવા કહ્યું હતું.
ત્યારે રિક્ષામાં હાજર સિંગલ સ્ટાર એએસઆઇએ મેહુલભાઇને ‘અમે તમારુ બહુ રાખીએ છીએ, એકવાર જવા દો, બીજી વાર ફરિયાદનો મોકો નહીં મળે’તેમ કહીને રિક્ષા લઇ ચાલ્યા ગયા હતા. જો કે, પોલીસના આ ઉઘરાણા શરૂ જ રહ્યા હતા, જેને લઇને આજે સવારે પોણા બાર વાગ્યાના અરસામાં મેહુલ બોધરા ફેસબક લાઇવ કરવા માટે પહોંચી ગયા હતા. મેહુલ મોબાઇલમાં વીડિયો શરૂ કરીને પોલીસ પાસે પહોંચ્યો ત્યારે પોલીસ કર્મચારીઓ ફેસબુક લાઇવ જોઇને પીઠ ફેરવી નાંખી હતી અને બાજુના સર્વિસ રોડ ઉપરથી નીકળી ગયા હતા.
ત્યાં દૂધિયા શર્ટ તથા કાળુ પેન્ટ પહેરેલા વ્યક્તિએ રિક્ષામાંથી લાકડી કાઢીને અચાનક જ મેહુલના માથાના ભાગે હુમલો કરી દીધો હતો. આ યુવકે મેહુલને માથાના ભાગે તથા પગે તેમજ શરીરે પંદર જેટલા ફટકા મારી જીવલેણ હુમલો કર્યો હતો. લાકડાનો એક ફટકો તૂટી ગયો તો હુમલાખોરે બીજો ફટકો લાવીને માર માર્યો હતો. ઇજાગ્રસ્ત હાલતમાં મેહુલ બોધરાને સુરત મનપા સંચાલીત સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવ અંગે મેહુલે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે દૂધીયા શર્ટ અને કાળુ પેન્ટ પહેરેલ ઇસમની સામે હત્યાના પ્રયાસની ફરિયાદ કરી હતી. જાણવા મળ્યા મુજબ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે હુમલાખોર સાજન ભરવાડ (ટીઆરબી સુપરવાઇઝર) હોવાનું પણ કહેવાય છે. હાલ તો આ બાબતે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
સરથાણા પોલીસ દ્વારા TRB સામે માત્ર સામાન્ય ફરિયાદ નોંધી નાની મોટી કલમો લગાવવી ને ફરિયાદ નોંધતા લોકોમાં અને વકીલ મંડળ માં રોષ જોવા મળ્યો હતો જેથી મામલો ઉગ્ર થયો હતો. અને મોટી સંખ્યા માં લોકોએ સરથાણા પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો અને રામધૂન કરતા ઉચ્ચ અધિકારીઓ દોડતા થઈ ગયા હતા અને માંગ એજ હતી કે TRB સામે 307 મુજબ કલમ ની ફરિયાદ નોંધવામાં આવે. જેથી આમ પોલીસ સ્ટેશન નો ઘેરાવો કર્યો અને વિરોધ લોકોએ નોંધાવ્યો હતો. સાથે પાસના કન્વીનર અલ્પેશ કથીરિયા પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને વિરોધ કરતા ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા આ બાબતે 307 મુબજની ફરિયાદ દાખલ કરતા મામલો શાંત પડયો હતો.