
સુરતના RTI કાર્યકર્તા અમિત તિવારીએ કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજીત દિપકે અને તેમના પિતા ભગવાનરાવ દિપકે અંગે વિવિધ સરકારી સંસ્થાઓ સમક્ષ ફરિયાદો નોંધાવી છે. તેમણે ભગવાનરાવ દિપકેની આવકની સરખામણીએ તેમના પરિવારની સંપત્તિ અને અભિજીત દિપકેના અમેરિકામાં થયેલા ઉચ્ચ શિક્ષણના ખર્ચ અંગે તપાસ કરવાની માંગ કરી છે.
અમિત તિવારીના જણાવ્યા અનુસાર, ભગવાનરાવ દિપકે મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (MIDC)માં જુનિયર એન્જિનિયર તરીકે ફરજ બજાવતા હતા. તેમના કહેવા મુજબ, જો તે સમયે તેમનો માસિક પગાર આશરે ₹60,000થી ₹65,000 હતો, તો આવી આવકમાં અમેરિકામાં ઉચ્ચ શિક્ષણનો ખર્ચ કેવી રીતે ઉઠાવી શકાય તે અંગે તપાસ થવી જરૂરી છે.
અમિત તિવારીએ જણાવ્યું કે તેમણે આ મુદ્દે ત્રણ અલગ-અલગ સરકારી સંસ્થાઓમાં ફરિયાદો નોંધાવી છે. કોકરોચ જનતા પાર્ટી (CJP) સામે ભારતીય ચૂંટણી પંચ (ECI)માં ફરિયાદ કરવામાં આવી છે. ઉપરાંત, રાજ્યસભાના સાંસદ કપિલ સિબ્બલ દ્વારા આપવામાં આવેલા ₹1 કરોડના ભંડોળ અંગે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (CBIC)ને રજૂઆત કરવામાં આવી છે. તેમના મતે, આ ભંડોળ પર લાગુ પડતી કર સંબંધિત જોગવાઈઓની તપાસ થવી જોઈએ.
આ ઉપરાંત, ભગવાનરાવ દિપકેની સંપત્તિ અને નાણાકીય સ્થિતિની તપાસ કરવા માટે મહારાષ્ટ્ર સરકાર સમક્ષ પણ અલગથી અરજી કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું છે.
અમિત તિવારીએ કહ્યું કે જો ભગવાનરાવ દિપકે સરકારી કર્મચારી તરીકે મર્યાદિત પગાર મેળવતા હતા, તો તેમના સંતાનના અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ માટે જરૂરી ખર્ચ કેવી રીતે પૂરો પાડવામાં આવ્યો તેની તપાસ થવી જોઈએ. તેમણે માંગ કરી છે કે જો અપ્રમાણસર સંપત્તિનો કોઈ મુદ્દો સામે આવે તો સંબંધિત સત્તાધિકારીઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
CJP સામેની ફરિયાદમાં અમિત તિવારીએ દાવો કર્યો છે કે જો કોઈ સંસ્થા રાજકીય પક્ષની જેમ કાર્ય કરે છે અને લોકો પાસેથી દાન સ્વીકારે છે, તો તેને લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 29A હેઠળ નોંધણી કરાવવી જરૂરી છે.
તેમણે પ્રશ્ન કર્યો કે જો CJP રાજકીય પક્ષ તરીકે નોંધાયેલ નથી, તો તે દાન કેવી રીતે સ્વીકારી શકે? આ મુદ્દે ચૂંટણી પંચ યોગ્ય તપાસ કરે અને જરૂરી કાર્યવાહી કરે તેવી પણ તેમણે માંગ કરી છે.
અમિત તિવારીએ CJP દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શન અંગે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમના જણાવ્યા મુજબ, શરૂઆતમાં NEET પેપર લીક મુદ્દે કરવામાં આવેલ આંદોલન યોગ્ય હતું, પરંતુ બાદમાં આંદોલન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના સ્વર્ગસ્થ માતા અંગે કરવામાં આવેલી ટિપ્પણીઓ યોગ્ય નહોતી.
તેમણે વધુમાં જણાવ્યું કે વડાપ્રધાનના વિદેશી નેતાઓ સાથેના સંબંધોને લઈને પણ ખોટા દાવાઓ કરવામાં આવ્યા હોવાનું તેઓ માને છે. આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને સંબંધિત સત્તાધિકારીઓ સમક્ષ ફરિયાદો નોંધાવવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું છે.
નોંધ: ઉપરોક્ત લેખ ફરિયાદકર્તા અમિત તિવારી દ્વારા કરવામાં આવેલા દાવાઓ અને રજૂઆતોના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. સંબંધિત આરોપોની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી અને તપાસ બાદ જ સત્તાવાર સ્થિતિ સ્પષ્ટ થશે.
સુરત જિલ્લામાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, નદીઓમાં પૂર ! Video
Published On - 10:03 pm, Sun, 2 August 26