સુરત (Surat )સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદ (Rain )થતા વાતાવરણમાં ઠંડક તો પ્રસરી છે, પરંતુ આ પાછોતરો વરસાદ ખેડૂતો(Farmers ) માટે આફત લઈને આવ્યો છે. વરસાદને પગલે ડાંગર પકવતા ખેડૂતોને મોટા નુકશાનની ભીતિ સેવાઇ રહી છે. મોટાભાગના ખેડૂતોના ખેતરોમાં ડાંગર નો ઉભો પાક નાશ પામે તેવી શક્યતા વર્તાય રહી છે. એક અંદાજ મુજબ, આશરે 50 કરોડ નું અંદાજિત નુકસાન થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં 2 થી 3 લાખ ખેડૂતો ખેતી ઉપર નિર્ભર છે. જેમાં 8 થી 12 હજાર હેકટરમાં ડાંગર નું વાવેતર કરવામાં આવે છે. એક અંદાજ મુજબ, દર વર્ષે 500 કરોડ ની આવક ડાંગરની ખેતી માંથી ખેડૂતોને થાય છે.
જોકે, છેલ્લા ત્રણ વર્ષથી દર ઓક્ટોબર માં આવતા વરસાદ ને કારણે ખેડૂતોને નુકશાન વેઠવાનો વારો આવી રહ્યો છે. આશરે 20 ટકા થી વધુ ડાંગરના ઉભા પાકને નુકસાન થઇ રહ્યું છે. ઓલપાડ તાલુકા સહિત સુરત જિલ્લામાં ક્યાંક ડાંગર કોહવાઈ જવું અને સડી જવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. ડાંગર પલળી જવાના કારણે પશુ નો ઘાસચારાની તંગી પણ વર્તાશે, જેના કારણે ભાવ વધારો થશે એવું પણ ખેડૂત આગેવાનોનું કહેવું છે.
કાંઠા વિસ્તારના ખેડૂતોના જણાવ્યા મુજબ, એક હેકટર દીઠ 30 થી 35 હજાર નો ખર્ચ થાય છે. જોકે, વરસાદને પગલે ખેડૂતોને પારાવાર નુકસાન વેઠવાનો વારો આવે છે. છેલ્લા બે વર્ષમાં સરકારે હેકટર દીઠ 746 રૂપિયા ચૂક્વ્યા છે. જેમાં 6387 જેટલા ખેડુતોને 11કરોડ 33 લાખ 24,663 ચૂકવ્યા હોવાનું જાણવા મળ્યું છે. કેમ કે, 33 ટકાથી વધુ નુકશાની હોય તો જ નુકશાની વળતર ચૂકવાયું હોવાનું જાણવા મળ્યું છે.
ડાંગરની જેમ શેરડીના પાકમાં પણ ખેડૂતોને નુકસાન થઇ રહ્યું છે. ખેતીપ્રધાન દેશમાં ખેતી કરવી મુશ્કેલ બની રહી છે. શેરડીમાં હેકટર દીઠ 1.50 લાખ ખર્ચો થાય છે. જો સરકાર સર્વે કરે તો ઉત્પાદન ખર્ચ સામે માત્ર 10 ટકા રકમ પણ મળતી નથી. આ ઉપરાંત જો વધારે દિવસ વરસાદ રહ્યો તો આંબા, ચીકુ જેવા રોકડીયા પાકોને પણ અસર થઈ શકે એમ છે ત્યારે રાજ્ય સરકાર યોગ્ય રીતે સર્વે કરાવે અને ખેડૂતોને નુકશાની વળતર અપાવે એ જ સમયની માંગ છે.
Input Credit Suresh Patel (Olpad )