ગુજરાતમાં (Gujarat) ચોમાસુ (Monsoon) શરુ થતા જ મેઘરાજાએ ધમધમાટી બોલાવવાનું શરુ કર્યુ છે. છેલ્લા 24 કલાકમાં 35 તાલુકામાં અડધાથી ચાર ઇંચ વરસાદ (Rain) નોંધાયો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગ્રામ્ય વિસ્તારોમાં અવિરત મેઘમહેર થઈ રહી છે. જેના કારણે અનેક સ્થળોએ પાણી ભરાવવાની સમસ્યા થઇ છે. સુરતના (Surat) કામરેજમાં સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. તો નવસારી અને જલાલપોરમાં બે-બે ઇંચ વરસાદ નોંધાયો છે. વલસાડ અને વાપીમાં દોઢ-દોઢ ઇંચ વરસાદ ખાબક્યો છે. હિંમતનગર, ઉના અને અંકલેશ્વરમાં પણ દોઢ-દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં મેઘરાજાની મહેર વરસી રહી છે. છેલ્લા થોડા દિવસથી ગુજરાતના અનેક વિસ્તારમાં છુટો છવાયો વરસાદ થયો છે. જો કે છેલ્લા 24 કલાકમાં 35 તાલુકામાં અડધાથી ચાર ઇંચ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ સુરત અને તેના આસપાસના વિસ્તારમાં સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. લીંબાયત ઝોનમાં પણ એક ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, તો કામરેજમાં ધોધમાર વરસાદના પગલે સર્વિસ રોડ પર પાણી ભરાયા છે. છેલ્લા 24 કલાકમાં જૂનાગઢ જિલ્લાના બિલખા, ઉમરાળી ગામોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. તો વિસાવદરમાં તો એક જ કલાકમાં બે ઇંચ વરસાદ વરસી ગયો હતો. જ્યારે બે કલાકમાં 4 ઇંચ ડેવો વરસાદ પડ્યો હતો.
અમરેલીના વિઠ્ઠલપુર, ખંભાળીયા, ફતેપુર અને કેરીયાચાડ, મોટા આકડીયા, અમરાપુર સહિતના ગામમાં પણ વરસાદ થયો હતો. અને કેરીયાચાડ ગામે સ્થાનિક નદીમાં પૂર આવી ગયું હતું. રાજ્યમાં સૌરાષ્ટ્રમાં (Saurastra)બરાબર વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે ગત રોજ વરસાદથી અમરેલીના (Amreli) કેરિયાચાડની સ્થાનિક નદીમાં તો જૂનાગઢ જિલ્લામાં આવેલી ઉતાવળી નદીમાં પૂર આવ્યું હતું.
સૌરાષ્ટ્રમાં હળવા વિરામ બાદ કાલથી ફરીથી વરસાદ વરસાવનું શરૂ થયું હતુ. જેમાં સૌથી વધુ વરસાદ વિસાવદર અને તેના ગ્રામ્ય પંથકમાં થયો હતો. તો બીજી તરફ જૂનાગઢ પંથકનાં ગ્રામ્ય વિસ્તારોમાં 5થી 7 ઈંચ સુધીનાં ભારે વરસાદથી નદી-નાળા છલકાઈ ઉઠયા હતા અને કેટલાક કોઝ વે પર પાણી ભરાઈ જતા સ્થાનકિ અવરજવર બંધ થઈ ગઈ હતી. અમરેલી જિલ્લામાં બપોર બાદ ધીમી ધારે તેમજ ઝાંપટા સ્વરૂપે સતત વરસાદ ચાલુ રહ્યો હતો.
વિસાવદર શહેરમાં ગાજવીજ સાથે બે કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ થયો હતો જેને પરિણામે રેલ્વે અંડરબ્રીજમાં પાણી ભરાઈ ગયેલા હતા અને તેવામાં ખાનગી ટ્રાવેલ્સની બસ પાણીમાં ફસાઈ ગઈ હતી.
રેલવેના અંડરબ્રિજમાં વરસાદથી પાણી ભરાઈ ગયું હતું, પરંતુ તંત્ર દ્વારા પામી ભરાયા બાદ દરવાજા બંધ કરવામાં ન આવતા ટ્રાવેલ્સની બસ તેમાં ફસાઈ ગઈ હતી. તંત્ર દ્વારા અંડર બ્રિજના બંધ કરવામાં ન આવતા ડ્રાઇવરે માની લીધું હતું કે આ રસ્તો ચાલું છે અને તેમાં બસ નાખતા બસ ફસાઈ ગઈ હતી.
વિસાવદર પંથકમાં ગત રોજ બપોર બાદ ધોધમાર વરસાદ ખાબકવાની શરૂઆત થઈ હતી. ભારે વરસાદથી શહેરના રસ્તાઓ ઉપર પાણી ભરાઈ ગયા હતા. તો વિસાવદર તાલુકામાં આવેલા સુખપુર અને છાવડા વચ્ચે આવેલા નાના પુલ ઉપરથી વરસાદી પાણી પસાર થવાની શરૂઆત થતા બંને ગામ વચ્ચેનો રસ્તો બંધ થઈ ગયો હતો. જોકે વરસાદ સતત ચાલુ રહેવાને કારણે ખેડૂતોને સૌથી વધારે રાહત થઈ છે. છેલ્લા કેટલાક દિવસથી જે વરસાદ થઈ રહ્યો છે તે વાવણી માટે એકદમ યોગ્ય હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું.