સુરતના ફ્રન્ટ લાઈન વોરિયર એવા ડો.સંકેત મહેતાના સ્વાસ્થ્યને લઈને ઘણા દિવસો બાદ સારા સમાચાર સામે આવ્યા છે. તેઓનું સ્વાસ્થ્ય હવે સુધારા પર આવી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. કોરોનાથી સંક્રમિત થયા બાદ તેમને શહેરની એક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી હતી. ત્યારે અન્ય એક દર્દીનો જીવ બચાવવા ડો.સંકેતે પોતાનું ઓક્સિજન માસ્ક કાઢીને તે દર્દીને આપી દીધું હતું.
પણ તે બાદ તેમને ફેફસામાં ઇન્ફેક્શન થયું હતું અને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. વધુ સારવાર માટે તેમને ચેન્નાઈની હોસ્પિટલમાં એર એમ્બ્યુલન્સ મારફતે ખસેડવામાં આવ્યા હતા. તેમની સારવાર માટે 1 કરોડ જેટલા રૂપિયાની જરૂર હોવાથી સુરતીઓને મદદ માટે આગળ આવવા વિનંતી પણ કરવામાં આવી હતી અને ઘણા ઉધોગપતિ અને લોકોએ મદદ પણ કરી હતી. જો કે હવે સુરતીઓની આ મદદ અને પ્રાર્થના રંગ લાવી છે. તેમના ફેફસાનું ઇન્ફેક્શન હવે ઘટી રહ્યું છે. તેમની તબિયતમાં સુધારો આવી રહ્યો છે અને હાલ તેમની ફિઝિયોથેરાપી સારવાર શરૂ કરવામાં આવી છે.