
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા આખરે 30 વોર્ડ માટે કુલ 107 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. છેલ્લા બે દિવસથી ચાલી રહેલી અટકળો અને ચર્ચાઓનો અંત આવ્યો છે. આ યાદીમાં નવા અને જૂના ચહેરાઓના સમન્વયનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેમાં મોટાભાગે નવા ચહેરાઓને તક આપવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, જાહેર કરાયેલા 107 ઉમેદવારોમાંથી 15 થી 20 જેટલા જૂના અને અનુભવી કોર્પોરેટરોને ફરીથી રિપીટ કરવામાં આવ્યા છે. જ્યારે 90 થી વધુ ઉમેદવારો નવા છે, જે દર્શાવે છે કે ભાજપે નવી પેઢી અને નવા ચહેરાઓને પ્રોત્સાહન આપવાનું નક્કી કર્યું છે. પાર્ટીએ સ્થાનિક ધારાસભ્યો અને નેતાઓની ભલામણોને પણ ધ્યાનમાં લીધી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
આ યાદીમાં પૂર્વ મેયર, પૂર્વ ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને વિવિધ સમિતિઓના ચેરમેન જેવા અગ્રણી નામોને રિપીટ કરવામાં આવ્યા છે. જેમાં દક્ષશ માવાણી, નરેન્દ્ર પાટીલ, રાજન પટેલ, મનીષા આહીર, વૈશાલી શાહ, ઉર્વશી પટેલ, ચિરાગ સોલંકી, ભાવિશા પટેલ, રાજેન્દ્ર પાટીલ, જયશ્રી વોરા, જયશ્રી વરિયા, ની શાહ, નિલેશ પટેલ, આર.પી. પટેલ અને કિશોર મિયાણી જેવા નામોનો સમાવેશ થાય છે.
મહત્વપૂર્ણ છે કે કેટલાક વિસ્તારોમાં, ખાસ કરીને જ્યાં આમ આદમી પાર્ટીનો પ્રભાવ જોવા મળ્યો હતો, ત્યાં ભાજપે નવા ચહેરાઓને તક આપી છે. કતારગામ-ડભોળી વિસ્તારમાં જૂના ચહેરાઓને હટાવીને નવા ચહેરાઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આ ઉપરાંત, વરાછા, સરથાણા, સીમાડા, અમરોલી છાપરા પાટા જેવા વિસ્તારોમાં પણ નવા ચહેરાઓને ટિકિટ આપવામાં આવી છે.
કેટલાક નોંધપાત્ર નામની ટિકિટ કપાઈ છે, જેમાં વોર્ડ નંબર સાતમાંથી નરેન્દ્ર પાંડવનો સમાવેશ થાય છે, જેમણે ભૂતકાળમાં ભાજપ સામે અવારનવાર વિરોધનો સૂર ઉઠાવ્યો હતો. વોર્ડ નંબર 11 માંથી એમાલી બોઘાવાલાની ટિકિટ પણ કપાઈ છે, કારણ કે તેમને સંગઠનમાં પ્રવક્તાનો હોદ્દો આપવામાં આવ્યો છે. બીજી તરફ, પૂર્ણેશ મોદીના ખાસ ગણાતા પરિમલ ચાચિયાને વોર્ડ નંબર 11 માંથી ટિકિટ મળી છે.
આ યાદી જાહેર થયા બાદ, સુરત શહેર ભાજપ સંગઠન દ્વારા તમામ ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરવામાં આવી રહી છે. વોર્ડ પ્રમુખો દ્વારા લીગલ ટીમની મદદથી ઉમેદવારો સવારે 10 વાગ્યાની આસપાસ મામલતદાર કચેરી ખાતે પોતાના ઉમેદવારી ફોર્મ જમા કરાવશે. અત્યાર સુધી, આ નામ જાહેર થયા બાદ કોઈ મોટી નારાજગી કે વિરોધનો સૂર સુરતમાં જોવા મળ્યો નથી. જોકે, ફોર્મ ભરવાનો આવતીકાલે છેલ્લો દિવસ હોવાથી નારાજગીના સૂર ઊઠે છે કે કેમ, અને જો ઊઠે તો તેમને મનાવી લેવાય છે કે નિષ્ક્રિય રહે છે તે જોવું રસપ્રદ બની રહેશે.
માહિતી અનુસાર, વોર્ડ નંબર 4, 23 અને 24માં એકપણ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યો નથી, જેના કારણે રાજકીય ગલીઓમાં ચર્ચા તેજ બની છે. સાથે જ વોર્ડ નંબર 9માં પણ એક ઉમેદવારની જાહેરાત બાકી છે.
ખાસ વાત એ છે કે આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં જોડાયેલા તમામ કોર્પોરેટરોને આ વખતે ટિકિટ આપવામાં આવી નથી, જેને કારણે રાજકીય સમીકરણોમાં બદલાવ જોવા મળી રહ્યો છે.
ભાજપે ઘણા બેઠેલા કોર્પોરેટરોને ફરી તક આપી છે, જ્યારે કેટલાક મોટા નામોને બહાર રાખવામાં આવ્યા છે.
રાજકોટ મનપાના ભાજપ ઉમેદવારની યાદી જાહેર, પૂર્વ મેયર સ્ટેન્ડિંગ કમિટીની ટિકિટ કપાઈ
Published On - 11:04 pm, Fri, 10 April 26