સેવા કરવાની ભાવના હોય તેને કશું જ નડતું નથી. ગમે તેટલા મુસીબતના પહાડો પણ વચ્ચે કેમ ન આવે વ્યક્તિ તેમાંથી રસ્તો શોધી જ લે છે. આજે વાત કરવી છે સુરતના એક એવા વ્યક્તિની જેની પાસે લોકડાઉન બાદ કોઈ કામ રહ્યું ન હતું. પણ પહેલાથી સેવાભાવી સ્વભાવને કારણે આજે તે માસ્ક બનાવીને ગરીબોને ફ્રીમાં આપી પણ રહ્યો છે અને આ રીતે તેને નો પ્રોફિટ નો લોસના ધોરણે માસ્કના ઓર્ડર પણ મળવા લાગ્યા છે.
સુરતમાં રહેતા હનુમાન પ્રજાપતિ લોકડાઉન પહેલા માર્કેટમાં સાડી ડ્રેસ પર લેસ લગાવવાનું કામ કરતા હતા. પણ લોકડાઉન પછી તેમનું આ કામ લગભગ બંધ જેવું જ થઈ ગયું હતું. ઓર્ડર ન મળવાને કારણે તેઓ મુશ્કેલી અનુભવવા લાગ્યા. જોકે હનુમાન ભાઈ સેવાભાવી હોવાથી પહેલાથી નિષ્કામ કર્મ સેવા ફાઉન્ડેશન નામની સંસ્થા સાથે જોડાયેલા છે.
આ લોકડાઉન પછી તેમણે જોયું કે કોરોનાના આ સમયમાં ગરીબ બાળકો માસ્ક વગર ફરી રહ્યા છે. તેવામાં તેમને ગરીબ બાળકો માટે માસ્ક બનાવવાનું નક્કી કર્યું. હનુમાન ભાઈએ લોકોના ઘરે અને ટેલરની દુકાને જઈને નકામા કપડાં ઉઘરાવવાનું શરૂ કર્યું. અને આ રીતે માસ્ક બનાવીને ગરીબ બાળકોને ફ્રીમાં આપવાનું શરૂ કરી દીધું.
તેનાથી એક મોટો ફાયદો એ થયો કે ગરીબ બાળકોને આ મહામારીમાં કોરોના સામે રક્ષણ મળી ગયું. બીજો મોટો ફાયદો એ પણ થયો કે તેમની મદદ માટે અન્યો પણ આગળ આવવા લાગ્યા. અન્ય ગામડાઓમાં માસ્ક મોકલવા માટે તેમને ઓર્ડર મળવા લાગ્યા.
આમ, આજે સેવા અને મહેનતથી શરૂ કરેલો આ યજ્ઞ હનુમાનભાઈને ખૂબ ફળ્યો છે. સંસ્થાની સાથે તેમને હવે મોટી માત્રામાં ઓર્ડર મળવાનું શરૂ થતાં તેઓ તેમના કામથી ખૂબ સંતુષ્ટ પણ થયા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો