Surat : એસવીએનઆઈટી કોલેજને કારણે સર્જાઈ રહી છે ટ્રાફિક સમસ્યા, કોલેજના ગેટને શિફ્ટ કરવાના સંકેત
પાલ ઉમરા બ્રિજ બન્યા પછી પણ ઉમરા છેડે ટ્રાફિક સમસ્યા જેમની તેમ છે. જેને નિવારવા હવે એસવીએનઆઈટીના ગેટને શિફ્ટ કરવાના સંકેત આપવામાં આવ્યા છે.
સુરતમાં ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે અનેક બ્રિજ બનાવ્યા પછી પણ સુરતમાં ટ્રાફિકની સમસ્યા હલ થવાનું નામ નથી લઇ રહી. તાજેતરમાં જ થોડા દિવસો પહેલા મહાનગરપાલિકા દ્વારા પાલ અને ઉંમર વિસ્તારને જોડતો બ્રિજ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જોકે ઉમરા છેડે આ બ્રિજ ઉતરતા શનિવાર અને રવિવાર દરમ્યાન વિશેષ ટ્રાફિકજામની સમસ્યા જોવા મળી રહી છે.
ઉમરા તરફના એપ્રોચ પરથી સુરત ડુમસ રોડ પર એસવીએનઆઈટી જંકશન પર શનિવાર અને રવિવારના દિવસોમાં ટ્રાફિકની વિકટ સમસ્યા ઉભી થઇ રહી છે. સર્કલની ફરતે ત્રણેય રૂટો પર લાંબો ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ટ્રાફિક સિગ્નલના લાંબા સમયને કારણે આ ટ્રાફિકજામની સ્થિતિ વીકેન્ડમાં સૌથી વધારે જોવા મળે છે.
સ્થાયી સમિતિમાં ભાજપના સભ્ય દ્વારા એસવીએનઆઈટી કોલેજના ગેટને શિફ્ટ કરવાની કાર્યવાહી માટે સૂચન કર્યું હતું. સ્થાયી સમિતિમાં તેઓએ જણાવ્યું હતું કે કોલેજ પ્રશાસન તરફથી ગેટને ટ્રાફિકને કારણે શિફ્ટ કરવાની માંગણી કરવામાં આવી છે.
સુચનમાં જણાવવામાં આવ્યું છે કે જો એસવીએનઆટીના ગેટને શિફ્ટ કરવામાં આવે તો અહીં વીકેન્ડમાં સર્જાતી ટ્રાફિક સમસ્યાને કંઈક અંશે હલ કરી શકાશે. સૌથી વધારે ટ્રાફિક જામની સમસ્યા અહીં અઠવાડિયાના છેલ્લા દિવસોમાં થાય છે કારણ કે અહીં ગૌરવપથ અને ડુમસ રોડ પર જનારા સુરતીઓની સંખ્યા સૌથી વધારે હોય છે.
જોકે આ ગેટ શિફ્ટ કરવામાં આવે તો મહાનગરપાલિકાના ભાગે કેટલીક જવાબદારી આવી શકે છે. પીપલોદ તરફે જો ગેટ બનાવવામાં આવે તો સર્વિસ રોડ પરથી એપ્રોચ આપવો પડી શકે છે. કોલેજ પ્રશાશન તરફથી પણ આ માંગણી કરવામાં આવી છે. અને ટ્રાફિકને કારણે મનપાએ પણ કોલેજ તરફથી કરવામાં આવેલી માંગણી બાબતે ધ્યાન આપવાની જરૂર છે.
આમ, બ્રિજ બનાવીને જ્યાં મહાનગરપાલિકા ટ્રાફિકની સમસ્યા હલ કરવાનો વિચાર કરી રહી છે ત્યાં બીજી તરફ અન્ય કોઈ કારણો સર આ સમસ્યા જ્યાંની ત્યાં આવીને અટકી રહી છે. હવે જોવાનું એ રહે છે કે પીપલોદ છેડે ઉમરા બ્રિજના એપ્રોચને અંતે આવેલા એસવીએનઆઈટી કોલેજના ગેટને શિફ્ટ કરવા બાબતે આગામી દિવસોમાં કોઈ નિર્ણય લેવામાં આવે છે કે કેમ ?
આ પણ વાંચો :