
સુરતમાં આવેલા ભયાનક પૂરને કારણે અનેક લોકોના ધંધા રોજગાર પડી ભાંગ્યા છે. પર્વત પાટિયા વિસ્તારમાં ખાડીપૂરના પાણી આવી જતા અનેક દુકાનદારોને પારાવાર નુકસાન થયુ છે. દુકાનનો તમામ માલ-સામાન પલળી જતા દુકાનદારોને મોટો આર્થિક ફટકો પડ્યો છે. ત્યારે tv9 ગુજરાતી દ્વારા તંત્ર આ વેપારીઓની વહારે આવે અને તેમને બેઠા થવા માટે ટેકો કરે તેવી વેપારીઓની લાગણી વ્યક્ત કરતો અહેવાલ પ્રસારીત કર્યો હતો. આ જ અહેવાલની અસર જોવા મળી છે. પર્વત પાટીયા વિસ્તારમાં આવેલી માધવબાગ સોસાયટીમાં એક વૃદ્ધની કરિયાણાની દુકાનમાં પાણી ભરાઈ જવાથી તમામ સામાન ખરાબ થઈ ગયો છે. રાતોરાત આ વૃદ્ધ અર્શ થી જાણે ફર્શ પર આવી ગયા હોય તેવી પીડા અનુભવી રહ્યા છે. ત્યારે તેમને થોડી આર્થિક મદદ મળી રહે અને તેઓ તેમનો જરૂરી સામાન ખરીદી શકે તેમજ દુકાનની સાફ સફાઈ કરી શકે તેવા આશયથી કોર્પોરેટર દિનેશરાજ પુરોહિત તેમની મદદે આવ્યા હતા અને 1 લાખ રોકડની મદદ કરી હતી.
કોર્પોરેટરે જ્યારે મદદનો હાથ લંબાવ્યો ત્યારે આર્થિક પાયમાલીમાં ધકેલાયેલા આ વૃદ્ધની આંખો આંસુથી ભરાઈ આવી હતી અને તેમણે સજળ આંખો સાથે કોર્પોરેટરનો બે હાથ જોડીને આભાર વ્યક્ત કર્યો. આ સાથે તેમણે જણાવ્યુ કે પૂરના કારણે દુકાનનો બધો જ સામાન પલળી જવાથી તેમને 4 થી 5 લાખનું નુકસાન ગયુ છે. બે દિવસથી તેમના ઘરમાં પાણ વીજળી-પાણીની કોઈ સુવિધા નથી. આજ સુધી તેમણે આ પ્રકારનું પૂર ક્યારેય જોયુ નથી. છેલ્લા 10 વર્ષથી તેઓ સુરતમાં તેમની દુકાન ચલાવે છે પરંતુ આ પૂરે તેમનુ બધુ જ તાણી ગયુ છે. હવે તેઓ આ સમસ્યાનો સામનો કઈ રીતે કરે તેનો કોઈ રસ્તો નથી સૂજતો. આવી સ્થિતિમાં કોર્પોરેટની મદદ તેમના માટે સધિયારો બનશે અને આ મુશ્કેલ ઘડીમાં તેઓ ફરી તેઓ બેઠા થઈ શકશે.
કોર્પોરેટરે પણ અસલ સુરતીઓનો મિજાજ બજાવતા વૃદ્ધની મદદ કરી અને સાથે જણાવ્યુ કે તેઓ આ નાનકડી મદદ કરી રહ્યા છે તેમ લોકો પણ તેમની જરૂરી ચીજ વસ્તુઓ આસપાસની દુકાનોમાંથી જ ખરીદવાનું રાખે, બ્લિનકિટ કે ઝેપ્ટો દ્વારા ઓનલાઈન ન ખરીદે. નાના દુકાનદારો પાસેથી સામાન ખરીદી તેમની મદદ કરે.
સુરતીઓની આ જ ખરી ઓળખ છે કે તેઓ દુ:ખની ઘડીમાં લોકોની મદદ માટે તત્પર રહે છે અને મદદનો હાથ લંબાવી તેમના દુ:ખમાં સહભાગી બને છે.
Input Credit- Baldev Suthar- Surat
Published On - 7:27 pm, Sun, 12 July 26