Surat : છેલ્લા બે દિવસથી વરસાદ (Rain) બંધ થઇ જતા મહાનગર પાલિકા તંત્રે જર્જરિત અને બિસમાર થઇ ગયેલા રસ્તાના રીપેરીંગ (Roads Repairing) માટે રાહત થઇ હતી. અપેક્ષાથી વિપરીત વરસાદે ઉઘાડ લીધો હતો અને સૂર્પ પ્રકાશ નીકળતા મનપા દ્વારા તાત્કાલિક અસરથી હોટમિક્સ પ્લાન્ટ કાર્યરત કરી દેવામાં આવ્યા છે. છેલ્લા બે દિવસમાં વિવિધ ઝોન વિસ્તારમાં રસ્તાઓના પેચવર્ક પાછળ 821 મેટ્રિક ટન ડામર વાપરવામાં આવ્યો છે.
સતત વરસાદને કારણે શહેરના માર્ગો અત્યંત બિસમાર થઇ ગયા હતા. રોડના રીપેરીંગ છતાં વરસાદના કારણે કામગીરી યોગ્ય રીતે થઇ શકી ન હતી. શહેરીજનો તરફથી ભારે રોષનો સામનો કોર્પોરેટરો અને તંત્રને પણ કરવો પડ્યો હતો. જોકે વરસાદના વિરામ બાદ હવે કોર્પોરેશને યુદ્ધના ધોરણે રસ્તાના રીપેરીંગ અને પેચવર્કની કામગીરી હાથ ધરી છે.
સુરતના મેયરના જણાવ્યા પ્રમાણે અંદાજે 62 કિલોમીટર જેટલા વિસ્તારમાં રોડ તૂટી ગયા હતા. જે પૈકી બે દિવસમાં 12 કિલોમીટરથી વધુ લંબાઈના રસ્તાનું પેચ વર્ક પૂર્ણ કરવામાં આવ્યું છે. એક માત્ર સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં જ સર્વે પ્રમાણે 35 કિલોમીટર જેટલા રસ્તા તૂટી ગયા છે. નોંધનીય છે કે સેન્ટ્રલ ઝોન ના ઘણા વિસ્તારોમાં ડ્રેનેજ અને પાણી નેટવર્કના ઓગ્મેન્ટેશન બાદ રસ્તા કાર્પેટ કરવામાં જ નથી આવ્યા. પરિણામે ચોમાસા દરમ્યાન તૂટેલા રસ્તા વધુ બિસમાર બન્યા હતા.
મનપાની ઓનલાઇન કમ્પ્લેઇન મેનેજમેન્ટ સિસ્ટમમાં પણ કતારગામ ઝોન વિસ્તારમાંથી 60 ટકા જેટલી ફરિયાદો આવી હતી. પણ તેનું નિરાકરણ પણ કોઈ પણ પ્રકારની સ્થળ વિઝિટ વગર સિસ્ટમ પર જ બતાવી દેવામાં આવતી હોવાની ફરિયાદ સ્થાયી સમિતિના સભ્ય દ્વારા કરવામાં આવી હતી. એટલું જ નહીં શહેરના અનેક બ્રિજ પર પણ ખાડા પડ્યા હોવાની અસંખ્ય ફરિયાદો હેલ્પ ડેસ્ક બોર્ડ પર આવી હતી.
ત્યારે હવે વરસાદના વિરામ બાદ કોર્પોરેશને ખાડા પૂર્વ પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સરકાર દ્વારા પણ આગામી 10 ઓક્ટોબર સુધી શહેરના તમામ માર્ગોના ખાડા મરામત કરવા માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેને પણ હવે થોડા દિવસો બાકી રહ્યા હોય કોર્પોરેશન દ્વારા પણ રસ્તા બાબતની ફરિયાદોનું નિરાકરણ કરવા કામગીરી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : Surat : ટેક્સ્ટાઇલ માર્કેટમાં છેતરપીંડી કરી ઉધમ મચાવનાર 51 ચીટરોની યાદી પોલીસને સુપરત કરાઈ
આ પણ વાંચો : Surat : આઝાદીના જશ્ન નિમિત્તે બ્યુટીફીકેશન અને પ્લેસ મેકિંગ કરીને સુરત બન્યું ખુબસુરત