હાલ સુરતમાં કોરોનાના કેસો ભલે ઓછા થયા હોય પણ તંત્ર દ્વારા ત્રીજી લહેરની સંભાવનાના ભાગરૂપે તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં બાળકો માટે નવા અત્યાધુનિક 12 વેન્ટિલેટર લાવવામાં આવ્યા છે. ઓગસ્ટ મહિનામાં કોરોનની ત્રીજી લહેર આવવાની આગાહી પણ તબીબો દ્વારા કરવામાં આવી હતી. પણ હવે સપ્ટેમ્બર મહિનામાં ત્રીજી લહેર આવે તેવી સંભાવના છે. જેથી તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
ત્રીજી લહેર બાળકો માટે વધારે ઘાતક રહે તેવી શક્યતા છે. આ શક્યતાઓ વચ્ચે શહેરની સરકારી હોસ્પિટલોના પીડિયાટ્રિક વોર્ડને તૈયાર કરી દેવામાં આવ્યા છે. જેના ભાગરૂપે સિવિલમાં નવા 12 અત્યાધુનિક વેન્ટિલેટર લાવવામાં આવ્યા છે. આ પહેલા જુના 26 વેન્ટિલેટર મશીન હતા અને હવે બીજા 12 વેન્ટિલેટર મશીન આવતા બાળકો માટે કુલ વેન્ટિલેટરની સંખ્યા 38 પર પહોંચી છે.
નવી સિવિલ હોસ્પિટલ સહીત ખાનગી હોસ્પિટલોમાં પણ વેન્ટિલેટરની અછત ઉભી થઇ હતી. આ ઉપરાંત ઓક્સિજન અને રેમડેસીવર ઇન્જેક્શન માટે પણ દર્દીઓના સંબંધીઓને ભારે દોડધામ કરવી પડી હતી. જો ત્રીજી લહેર આવે તો પણ આવી કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે તે માટે તંત્ર અત્યારથી જ સજ્જ થઇ રહ્યું છે અને તેના ભાગરૂપે જ સરકારી હોસ્પિટલોને પૂરતા વેન્ટિલેટર ફાળવવામાં આવી રહ્યા છે.
ખાસ કરીને ત્રીજી લહેર માટે બાળકોને કોઈ તકલીફ ન પડે તેના માટે પીડિયાટ્રિક વોર્ડમાં બાળ દર્દીઓ માટે જરૂરી હોય તેવા વેન્ટિલેટર ઇન્સ્ટોલ કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત કોરોનાની પરિસ્થિતિને પગલે રાજ્ય સરકારે આરોગ્ય વિષયક સાધન સામગ્રી ખરીદવા માટે 25 લાખ ખર્ચવાની મંજૂરી આપી છે. જેને પગલે મજૂરના ધારાસભ્ય દ્વારા 22.17 લાખના ખર્ચે એક્સરે મશીન સિવિલ હોસ્પિટલને ફાળવવામાં આવ્યા છે.
સિવિલ હોસ્પિટલ દ્વારા એક્સરે મશીન બાબતે રજૂઆતો કરવામાં આવી હતી. જેના પાંચ જ દિવસમાં આ મશીન ફાળવી દેવામાં આવ્યા હતા. નોંધનીય છે કે સુરતમાં છેલ્લા દોઢ વર્ષથી દેશ અને દુનિયાને ઘમરોળી રહેલા કોરોનાના વિદાયની ઘડીઓ ગણાય રહી છે. તેમ છેલ્લા ઘણા દિવસોથી નહિવત દર્દીઓ નોંધાઈ રહ્યા છે. સુરતમાં વેક્સિનેશન પણ 80 ટકાને પાર થઇ ગયું છે.
આ પણ વાંચો :