7 ગુજરાતી મહિલાઓેએ 80 રૂપિયા ઉધાર લઈ શરૂ કર્યો બિઝનેસ, આજે છે કરોડોમાં ટર્નઓવર

|

May 20, 2024 | 7:53 PM

મુંબઈના જસવંતી જમનાદાસે પહેલીવાર વર્ષ 1959માં તેમની 6 સહેલીઓ સાથે 80 રૂપિયા ઉધાર લઈ એક બિઝનેસ શરૂ કર્યો હતો. આ એ યુગ હતો જ્યારે મહિલાઓને ધંધા કે નોકરી માટે છૂટ મળતી ન હતી, પરંતુ જસવંતી જમનાદાસે હિંમત કરી અને વ્યવસાય શરૂ કર્યો હતો. આજે આ કંપનીનું ટર્નઓવર કરોડોમાં છે.

7 ગુજરાતી મહિલાઓેએ 80 રૂપિયા ઉધાર લઈ શરૂ કર્યો બિઝનેસ, આજે છે કરોડોમાં ટર્નઓવર
Lijjat Papad

Follow us on

જો વ્યક્તિમાં કંઈક કરી છૂટવાની ઈચ્છા હોય તો તે આકાશને પણ આંબી શકે છે. સખત મહેનતથી મોટી સિદ્ધિઓ મેળવી શકાય છે. આવું જ કંઈક ગુજરાતની સાત મહિલાઓએ કરી બતાવ્યું છે, જેમણે પોતાના દમ પર કરોડો રૂપિયાનો બિઝનેસ ઉભો કર્યો છે. 90ના દાયકામાં જ્યારે લોકોના ઘરમાં માત્ર બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી હતા. એ સમયે એક એડવર્ટાઈઝ ખૂબ ફેમસ હતી, આ એડે એ વખતે દરેકનું ધ્યાન ખેંચ્યું હતું. આ એડ લિજ્જત પાપડની હતી. લિજ્જતનો ગુજરાતીમાં અર્થ સ્વાદ થાય છે.

લિજ્જત પાપડનો સ્વાદ લોકોના ઘર સુધી એ રીતે પહોંચ્યો કે તે આજે પણ લોકોના હોઠ પર છે. ભારતમાં લગભગ દરેક વ્યક્તિએ લિજ્જત પાપડનો સ્વાદ તો ચાખ્યો જ હશે. પરંતુ આ પાપડ કંપનીના કઈ રીતે અસ્તિત્વમાં આવી તેના ઈતિહાસ વિશે બહુ ઓછા લોકો જાણતા હશે. લિજ્જત પાપડ મહિલા સાહસિકોના સશક્તિકરણ અને સંઘર્ષનું એક ઉત્તમ ઉદાહરણ છે. લિજ્જત પાપડની કહાની ખૂબ જ રસપ્રદ છે. આ લેખમાં જાણીશું કે કેવી રીતે સાત મહિલાઓએ સાથે મળીને લિજ્જત પાપડને આટલી મોટી બ્રાન્ડ બનાવી.

કેવી રીતે શરૂ થયું કામ ?

મુંબઈના રહેવાસી જસવંતી જમનાદાસે પહેલીવાર વર્ષ 1959માં તેમની 6 સહેલીઓ સાથે પાપડ બનાવવાની શરૂઆત કરી હતી. આ એ યુગ હતો જ્યારે મહિલાઓને ધંધા કે નોકરી માટે છૂટ મળતી ન હતી, પરંતુ જસવંતી જમનાદાસે હિંમત કરી અને પાપડ બનાવવાનો ધંધો શરૂ કર્યો. ધંધો શરૂ કરવા માટે પૈસા ન હતા. તો આ તમામ મહિલાઓ જાણીતા સામાજિક કાર્યકર છગનલાલ કરમશી પારેખ પાસે પહોંચી અને તેમને તેમની યોજના જણાવી. પારેખે 80 રૂપિયા આપ્યા અને પાપડ બનાવવાનું કામ શરૂ થયું. આ એ જ પાપડ છે જે તમારા ભોજનને સ્વાદિષ્ટ બનાવે છે અને તેને લિજ્જત તરીકે ઓળખવામાં આવે છે.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

મહિલા ગૃહ ઉદ્યોગના સ્તરે શરૂ થયેલ લિજ્જત પાપડનો બિઝનેસ આજે 16,00 કરોડ રૂપિયાની કમાણી કરી રહ્યો છે. ગિરગામના એક નાનકડા સ્થળેથી શરૂ થયેલો આ ગૃહ ઉદ્યોગ દેશભરમાં 82 શાખાઓ ચલાવે છે. દેશભરમાં 45,000 મહિલાઓ આ વ્યવસાય સાથે સંકળાયેલી છે. સૌથી મોટી વાત એ છે કે આ 45,000 મહિલાઓ પાપડ બનાવવાનું કામ કરે છે, પરંતુ આ તમામને કંપનીમાં સહ-માલિકીનો અધિકાર પણ મળ્યો છે. એટલે કે કર્મચારીઓ પોતે જ માલિક પણ છે. હવે વિચારો કે જે ધંધો આ વિચાર પર વિકસી રહ્યો છે તેને રાષ્ટ્રનો ચોથો સૌથી પ્રતિષ્ઠિત અને આદરણીય પુરસ્કાર પદ્મશ્રી કેમ ન મળવો જોઈએ.

 

આ મહિલાઓની ખાસ વાત એ છે કે તેમણે આ બિઝનેસ પૈસા કમાવવા શરૂ નહોતો કર્યો. પરંતુ આ સાતેય મહિલાઓ પોતાના પરિવારના ખર્ચમાં ફાળો આપવા માંગતી હતી. સ્વાભાવિક છે કે તમે જસવંતીબેનને ઓળખતા ન હોવ કારણ કે આ લોકો મીડિયા અને કેમેરાની ઝગમગાટમાં આવતા નથી. પરંતુ તમે લિજ્જત પાપડ વિશે તો જાણતા જ હશો. એટલું જ નહીં લિજ્જત પાપડની એ જાહેરાત પણ તમારા મગજમાં બેઠી હશે જેમાં હાથથી બનાવેલો બન્ની કે સસલો પાપડ ખાય છે અને લિજ્જતનું ગીત ગાય છે.

આ મહિલાઓ છે સહભાગી

જસવંતીબેનને પાપડ બનાવવાનો કે કોઈ ગૃહઉદ્યોગ શરૂ કરવાનો કોઈ અનુભવ નહોતો કે પરિવાર પાસે એવો કોઈ વારસો પણ નહોતો. પરંતુ સંગતે તેમને આ કાર્ય શરૂ કરવાની પ્રેરણા આપી. જસવંતી જમનાદાસ પોપટની સહેલીઓમાં પાર્વતીબેન રામદાસ થોડાણી, ઉજમબેન નારણદાસ કુંડલીયા, બાનુબેન તન્ના, લગુબેન અમૃતલાલ ગોકાણી, જયાબેન વિઠ્ઠલાણી સાથે મળીને નક્કી કર્યું કે તેઓ પાપડ બનાવવાનું કામ શરૂ કરશે. તેમની સાથે બીજી એક મહિલા પણ હતી, જેને પાપડ વેચવાની જવાબદારી સોંપવામાં આવી હતી. આ મહિલાઓનો ગૃહ ઉદ્યોગ એટલો વિકસ્યો છે કે આજે દરેક તેનું નામ લે છે. જો આપણે તેના લોગો પર નજર કરીએ તો તેમાં લખ્યું છે, સિમ્બોલ ઓફ વુમન સ્ટ્રેન્થ એટલે કે મહિલા સશક્તિકરણનું પ્રતીક.

4 પેકેટથી શરૂઆત આજે કરોડો પેકેટની માંગ

80 રૂપિયા ઉછીના લઈને આ ગુજરાતી મહિલાઓએ પાપડના ચાર પેકેટ બનાવીને એક મોટા વેપારી છગનલાલને વેચ્યા. થોડા સમય પછી વેપારીએ મહિલાઓને વધુ પાપડ બનાવવાનો ઓર્ડર આપ્યો. ત્યાર બાદ તો પાપડની માંગ વધી અને મહિલાઓએ દિવસ-રાત મહેનત કરી અને વેચાણ દિવસેને દિવસે વધતું ગયું.

લિજ્જત પાપડની માંગ વધી

આ જ વેપારીએ જસવંતીબેન અને તેમના મિત્રોને શીખવ્યું કે જો તેઓ તેમના પાપડની ગુણવત્તા સાથે ક્યારેય બાંધછોડ નહીં કરે તો ભવિષ્યમાં તેમના પાપડની માંગ વધશે અને આવું જ કંઈક થયું. આજે લિજ્જત પાપડની માંગ ઘણી વધી ગઈ છે. જો કે બીજી કંપનીઓના પાપડ પણ બજારમાં આવી ગયા છે, પરંતુ આજે પણ લિજ્જત પાપડનું નામ લોકોના હોઠ પર છે.

આ વેપારીએ મહિલાઓને એકાઉન્ટ હેન્ડલિંગ, માર્કેટિંગ વગેરે વિશે તાલીમ આપવામાં પણ મદદ કરી. ધીરે ધીરે આ ધંધો વધવા લાગ્યો અને મહિલાઓ પણ તેમાં જોડાવા લાગી. સાત મહિલાઓનું આ જૂથ એક કોઓપરેટિવ સિસ્ટમ બની ગયું. જેમાં 18 વર્ષથી ઉપરની જરૂરિયાતમંદ મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં આ જૂથનું નામ શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ હતું. બાદમાં 1962માં તેનું નામ બદલીને લિજ્જત પાપડ કરવામાં આવ્યું.

ટર્નઓવર કરોડોમાં

80 રૂપિયા ઉધાર લઈને શરૂ કરેલા લિજ્જત પાપડના ધંધામાં મહિલાઓએ એક વર્ષમાં 6 હજારથી વધુ રૂપિયાની કમાણી કરી હતી. આજે કંપનીનું ટર્નઓવર 1600 કરોડ રૂપિયાથી વધુ છે. મહિલા સશક્તિકરણના ક્ષેત્રમાં દાખલો બેસાડવા લિજ્જત પાપડની સ્થાપના કરનાર જસવંતી જમનાદાસનું 21 સપ્ટેમ્બર 2022ના રોજ 93 વર્ષની વયે નિધન થયું. આજે લિજ્જત પાપડની સહકારી ચળવળમાં 45 હજારથી વધુ મહિલાઓ છે, જેઓ સમગ્ર વ્યવસાય ચલાવે છે. આ મહિલાઓને લિજ્જત સિસ્ટર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે આ કંપનીની ગણના સૌથી વધુ એમ્પ્લોયમેન્ટ આપતી કંપનીઓમાં થાય છે.

17 રાજ્યોમાં 82 શાખાઓ

આજે લિજ્જત પાપડની 17 રાજ્યોમાં 82 શાખાઓ છે. આ પાપડ માત્ર ભારતમાં જ નહીં પરંતુ અન્ય દેશોમાં પણ વેચાય છે. લિજ્જત પાપડની યુકે, ફ્રાન્સ, હોંગકોંગ, બહેરીન, હોલેન્ડ, થાઈલેન્ડ, ચીન, મલેશિયા સહિત કુલ 25 દેશોમાં પણ નિકાસ કરવામાં આવે છે. આ મહિલા ગૃહ ઉદ્યોગમાં હવે માત્ર પાપડ જ નહીં પરંતુ ખાખરા, બેકરી પ્રોડક્ટ્સ અને અનેક પ્રકારના મસાલા પણ બનાવવામાં આવે છે.

રાષ્ટ્રપતિના હસ્તે પદ્મશ્રી એવોર્ડ

નવેમ્બર 2021માં લિજ્જત પાપડ એન્ટરપ્રાઇઝિસના સહ-સ્થાપક જસવંતીબેન જમનાદાસ પોપટને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા પ્રતિષ્ઠિત પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વર્ષ 2005માં દેશના તત્કાલિન રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામના હસ્તે લિજ્જતને બ્રાન્ડ ઈક્વિટી એવોર્ડનું સન્માન મળ્યું હતું. વર્ષ 2003માં લિજ્જતને દેશનો સર્વશ્રેષ્ઠ કુટીર ઉદ્યોગનો એવોર્ડ મળ્યો હતો. 2002માં જસવંતીબેનને ઇકોનોમિક ટાઇમ્સ દ્વારા બિઝનેસ વુમન ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Next Article