જામનગર તંત્રની ગંભીર બેદરકારી, ઓમિક્રોન કેસ નોંધાયો હોવા છતાં ઘરમાં ચાલી રહ્યા હતા ટ્યુશન ક્લાસ
Jamnagar: ઓમિક્રોનની આફત જામનગરમાં ત્રાટકી છે. તેમ છતાં હજુ તંત્ર ઘોર નિંદ્રા લઇ રહ્યું હોય એવું લાગી રહ્યું છે. મનપાની ગંભીર બેદરકારી સામે આવી છે.
Omicron In Jamnagar: જામનગર મનપાની ગંભીર બેદરકારી સામે આવી છે. જાહેર છે કે જામનગરમાં સાઉથ આફ્રિકાથી આવેલા વૃદ્ધ ઓમિક્રોન સંક્રમિત છે તેમ છતાં તંત્ર ઘોર નિંદ્રામાં સુતું ઝડપાયું છે. માહિતી પ્રમાણે જે ઘરમાં કેસ આવ્યો છે ત્યાં ટ્યુશન ક્લાસ ચાલતા હતા. દર્દી પોઝિટિવ જાહેર થયો એના બાદ પણ ક્લાસ ચાલુ હોવાનું જાણવા મળ્યું છે. આ વાત સાબિત કરે છે કે ઓમિક્રોન કેસ નોંધાયો હોવા છતાં મનપા ગંભીર નથી.
જણાવી દઈએ કે કેસ આવ્યાના બે દિવસ સુધી ચાલુ ટ્યુશન ક્લાસ રહ્યા હતા. કોર્પોરેટર જેનબ ખફીને ધ્યાને આવતા બાબત તંત્ર સુધી પહોંચી હતી. તપ આરોગ્ય તંત્રએ બાદમાં કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ ટ્યુશન આવતા 7 બાળકોની ઓળખ કરાઇ છે. અને અન્ય બાળકોને શોધવા કવાયત હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ઝિમ્બાબ્વેથી જામનગર શહેરમાં આવેલા 72 વર્ષીય વૃદ્ધને કોરોનાનું સંક્રમણ થયું હતું અને શનિવારે તેના રિપોર્ટમાં ઓમિક્રોન વેરીએન્ટની પુષ્ટિ થઇ હતી. આ સાથે દક્ષિણ આફ્રિકાથી દુબઈ, દિલ્હી થઈને મુંબઈ નજીક કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ વિસ્તારમાં પહોંચેલા એક વ્યક્તિમાં પણ ઓમિક્રોન વેરીએન્ટનું સંક્રમણ થયાની પુષ્ટિ થઈ હતી.
તો જામનગરમાં કોરોના (Corona Positive) વધુ બે દર્દીઓ ગઈકાલે સામે આવ્યા છે. ચિંતાની વાત એ છે કે ઓમિક્રોનના (Omicron Variant) દર્દીના સંપર્કમાં આવેલા આ બે વ્યક્તિ કોરોના સંક્રમિત આવતા ખળભળાટ મચી ગયો છે. તો આ બંનેના નમૂના ઓમિક્રોનની તપાસ માટે લેબોલેટરીમાં મોકલ્યા છે. જામનગરમાં વધુ બે કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે. અને બંને દર્દીઓને કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.
આવા સમયમાં એ જ ઘરમાં ચાલી રહેલા ટ્યુશન કલાસે ચિંતા વધારી છે. તો દેશભરમાં ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે. બીજી તરફ ગુજરાતમાં પણ કોરોનાના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. સુરેન્દ્રનગરમાં આફ્રિકાથી લીંબડી આવેલા વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ છે. આફ્રિકાથી લીંબડી આવેલા આ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સુરેન્દ્રનગરના વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આ વ્યક્તિના અન્ય પરિવારજનોને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. અને ઓમિક્રોનની પૃષ્ટિ માટે રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.
આ પણ વાંચો: Surat : GST દર ઘટાડવામાં નહીં આવે તો 15 ડિસેમ્બરથી વેપારીઓ દ્વારા આંદોલન છેડવાની જાહેરાત
આ પણ વાંચો: Banaskantha: ઓમિક્રોનની આફત વચ્ચે તંત્રની ઘોર બેદરકારી, નથી થઈ રહ્યું કોરોના ગાઈડલાઈનનું પાલન