ચિલોડા થી શામળાજી સુધીના નેશનલ હાઈવે (Shamlaji-Chiloda six line highway) ને સિક્સ લાઈનમાં ફેરવવા માટેની કામગીરી ચાલી રહી છે. ચાર વર્ષથી ચાલી રહેલી આ કામગીરી હજુ પણ ધીમી ગતિએ ચાલી રહી હોવાને લઈ સાબરકાંઠા સાંસદ અને અગ્રણી સ્થાનિક દિગ્ગજ નેતાએ કેન્દ્ર સરકારને કામની ઝડપને લઈ રજૂઆત કરી હતી. જેને લઈ સપ્તાહ બાદ ફરી એક વાર નેશનલ હાઈવે ઓથોરિટી (National Highway Authority) ની ટીમ નેશનલ હાઈવેના કાર્યને સમિક્ષા કરવા માટે હિંમતનગર આવી હતી. સાંસદ દિપસિંહ રાઠોડ (MP Dipsinh Rathore) સાથે બેઠક કરીને લોકોની સમસ્યાઓ અંગે સહિત કામની ગતિ બાબતે સમિક્ષા કરાઈ હતી. અરવલ્લી અને સાબરકાંઠા ના લોકો હાઈવેના નિર્માણકાર્યની ધીમી ગતિ અને તેની સમસ્યાથી પરેશાન થઈ ચૂક્યા છે.
ચિલોડા થી હિંમતનગર અને હિંમતનગર થી શામળાજી વચ્ચેના બે ખંડમાં નેશનલ હાઈવેને ચાર માર્ગીય થી સિક્સ લાઈનમાં ફેરવવા માટે કાર્ય કરવામાં આવી રહ્યુ છે. નિર્માણ કાર્ય ખૂબ જ ધીમી ગતિએ ચાલવાને લઈ સ્થાનિક વાહનચાલકો સહિત સ્થાનિક લોકો પણ પરેશાન થઈ ચૂક્યા છે. જેને લઈને લોકો અનેક વાર રસ્તા રોકવા સહિતના વિરોધ પ્રદર્શન કર્યા હતા. તો વળી ટ્રાફિક ડાયવર્ઝન પર જામ થઈ જવાની સમસ્યા પણ લોકોને સતાવી રહી છે.
જેને લઈ સ્થાનિક સાંસદ દિપસિંહ રાઠોડે કેન્દ્રીય પ્રધાન નિતિન ગડકરીને રુબરુ રજૂઆત કરી હતી. તેઓએ નેશનલ હાઈવેના કાર્યને ઝડપી બનાવવા અને ગુણવત્તાસભર બનાવવા માટે થઈને રજૂઆત કરી હતી. આ ઉપરાંત સ્થાનિક દિગ્ગજ નેતાએ પણ હાઈવેની ગુણવત્તાની બાબતે અને કામની ગતિને લઈ કેન્દ્રીય સ્તરે વાતચીત કરી હતી. જેને લઈ તુરત જ કેન્દ્રીય કક્ષાએ થી હાઈવે ઓથોરીટીની ટીમો દોડતી થઈ ગઈ હતી. હિંમતનગરના દિગ્ગજ નેતાએ ગુણવત્તા સભર વિકાસ કાર્યને લઈ કેન્દ્રીય અધિકારીઓને પણ આકરી સૂચના આપી હતી.
ચિલોડા – શામળાજી સુધીના માર્ગને ૬ લેનમા ફેરવવાની કામગીરી હાલ જે ચાલી રહી છે તેને ખૂબ ઝડપથી પૂર્ણ કરવાના હેતુથી @NHAI_Official ના અધિકારીઓ સાથે આજે ૧૦ બાદ પુનઃ બેઠક કરી અને જરૂરી દિશા નિર્દેશ આપ્યા. જેમા બાકી રહેલ કામ તેમજ ત્રુટીઓને પ્રાથમિકતા આપી ઝડપથી પૂર્ણ કરવા નીર્ધાર કરેલ. pic.twitter.com/pfqViu0B9b
— Dipsinh Rathod (@Dipsinh_Rathod) September 19, 2022
દિપસિંહ રાઠોડ સાથે નેશનલ હાઈવેની ટીમે રુબરુ બેઠક યોજી હતી. નેશનલ હાઈવે પર ડાયવર્ઝનની સમસ્યા, નવા પુલોમાં તુરત જ ખાડા પડવા અને સમસ્યા સર્જાવા થી બંધ કરી દેવાની સર્જાયેલી સ્થિતી સહિતની ચર્ચા કરી હતી. એજન્સી પાસે ગુણવત્તા સભર કામગીરી કરાવવા માટે ભાર મુકી રજૂઆત કરી હતી. અધિકારીઓને નેશનલ હાઈવે પર હાલમાં લોકોને પડતી હાલાકીનુ તુરત જ નિરાકરણ લાવવા અને તે અંગે સમયાંતરે નિરીક્ષણ કરવા માટે સૂચના સાંસદે આપી હતી.
Published On - 11:21 am, Tue, 20 September 22