સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વંદે ગુજરાત વિકાસ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકારના શિક્ષણ અને પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણી (Jitu Vaghani) એ મોડાસા ખાતે અને રાજ્ય કક્ષાના શિક્ષણ પ્રધાન કિર્તીસિંહ વાઘેલાએ હિંમતનગર (Himmatnagar) ખાતેથી વિકાસ યાત્રા (Vande Gujarat Vikas Rath Yatra) નો પ્રારંભ કરાવ્યો હતો. છેલ્લા બે દાયકા દરમિયાન થયેલા વિકાસની વાતોને લઈને વિકાસ રથ જિલ્લાના તમામ તાલુકા મથકોમાં ભ્રમણ કરશે. જેમાં દરેક જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠક વિસ્તારમાં વિકાસ રથ ફરશે અને વિકાસની વાતોને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરશે. પ્રધાન વાઘાણીએ કહ્યુ હતુ કે, જાતિવાદના બદલે વિકાસના નામે મત માંગવાની શરુઆત અમારી સરકારે કરી છે.
મંગળવાર 5 જુલાઈ થી 19 મી જુલાઈ સુધીના પંદર દિવસ દરમિયાન અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં વિકાસ રથ ફરનાર છે. આ માટેનો પ્રારંભ મોડાસા ખાતેથી જીતુ વાઘાણીએ કરાવ્યો હતો. કેબિનેટ શિક્ષણ અને રાજ્ય સરકારના પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીએ રથનો પ્રારંભ કરાવતા સરકારી યોજના થકી લોકો સુધી પહોંચેલા લાભ અને વિકાસને વર્ણવ્યો હતો. છેલ્લા બે દાયકા દરમિયાન નરેન્દ્ર મોદીએ કાયાપલટ કરતો વિકાસ કર્યો છે.
વાઘાણીએ કહ્યુ હતુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌના આશીર્વાદથી ગુજરાતની વિકાસ યાત્રા શરૂ કરી છે. 20 વર્ષ પહેલાં ગુજરાતમાં વિકાસની વાત કરવી એ સપના સમાન હતું. વિકાસ કર્યા બાદ એ જ વિકાસ માટે લોકો પાસે મતરૂપી આશીર્વાદ મેળવવાની શરૂઆત વર્તમાન વડાપ્રધાન મોદીએ મુખ્ય પ્રધાન હોવા દરમિયાન કરી હતી. વિકાસની રાજનિતીની તેમની કાર્યપદ્ધતી આજે સમગ્ર વિશ્વમાં આ રીતે ફેલાઈ છે.
આગળ કહ્યુ હતુ કે, અરવલ્લીના નાના ગામમાં બ્લોક રોડ એ વિકાસ દર્શાવે છે. ફકત મહાનગરોમાં જ વિકાસ હોય અને સુવિધાઓ ગામડામાં ન મળે આ પરિભાષા સરકાર દ્વારા બદલી નાખવામાં આવી છે. વર્ષોથી આપણી વચ્ચે રહેલ નર્મદાના પાણી ઘર ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા અમારા દ્વારા કરાઈ છે. પીએમ મોદીએ શરૂ કરેલી વિકાસયાત્રા આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગળ વધાર્યો છે.
કિર્તીસિંહ વાઘેલાએ હિંમતનગરના નલિનકાન્ત ગાંધી ટાઉનહોલ ખાતેથી વિકાસ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. જે સાબરકાંઠા જિલ્લા પંચાયતની ૩૬ સીટોના ૭૨ ગામ અને ૬ નગરપાલિકાઓમાં રથ ભ્રમણ કરશે. પ્રધાન કિર્તીસિંહે કહ્યુ હતું કે, આ વંદે ગુજરાત વિકાસ યાત્રા વડાપ્રધાન નરેન્દ્ર્ મોદીના દુરંદેશીપણાની મિશાલ છે. જ્યારે તેઓ ગુજરાતના મુખ્ય મંત્રી પદ પર બિરાજમાન હતા ત્યારે તેમણે કરેલ વિકાસની રાજનીતિના પરિણામ છે. જેને લઈ આજની પેઢીને તો ખબર જ નહિ હોય કે પહેલાના સમયમાં કેવી પરિસ્થિતિ હશે. વડાપ્રધાન દ્રારા કરવામાં આવેલ વિકાસની રાજનિતીના ફળ આજે છેવાડાના માનવી સુધી પહોંચી રહ્યા છે. ગુજરાતમાં આજે ઉધોગ ધંધાઓનો વિકાસ અને વાઇબ્રન્ટ ગુજરાત થકી વિદેશી રોકાણના અવસરો ઉપલબ્ધ બન્યા છે.
Published On - 8:38 pm, Tue, 5 July 22